• અદાણીની કથિત તરફેણના આક્ષેપોઃ ભાજપ- કોંગ્રેસના કોર્પોરેટરો સામ-સામે

  • વિરામ પછીની બોર્ડ બેઠકમાં બિનસંસદીય શબ્દો પાછા ખેંચાતાં 'ઘી ના ઠામમાં ઘી ઢળ્યું'
  • અદાણીનો રૂ. 12 કરોડનો ટેક્સ બાકી છે તો તેમની કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ?

AMCની બજેટ બેઠકના બીજા દિવસે મ્યુનિ. બોર્ડમાં અદાણીના રૂ. 12 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા છતાં તેની સામે રીકવરી માટે કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાના અને AMC શાસકો દ્વારા અદાણીની કથિત તરફેણ કરાતી હોવાના વિપક્ષી નેતાના આક્ષેપોને પગલે મ્યુનિ. બોર્ડમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા હતા અને બિનસંસદીય શબ્દપ્રયોગને કારણે ભારે હોબાળો સર્જાવાને પગલે મેયર કીરીટ પરમારને સમય સૂચકતા વાપરીને સામાન્ય સભા લંચ બ્રેક માટે મુલતવી રાખવાની ફરજ પડી હતી. જોકે, ભોજનના વિરામ પછી વિપક્ષી નેતા અને રેવન્યુ કમિટીના ચેરમેને બિનસંસદીય શબ્દો પરત ખેંચી લેતાં 'ઘી ના ઠામમાં ઘી ઢળ્યું' હતું અને બજેટ સેશન ફરીથી શરૂ થયું હતું. વિપક્ષી નેતા અને રેવન્યુ કમિટી ચેરમેનના બિનસંસદીય શબ્દપ્રયોગને રેકોર્ડ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

AMC બજેટના બીજા દિવસે ચેરમેન હિતેશ બારોટે રૂ. 9,482 કરોડના બજેટમાં સુધારા અને વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, નાગરિકો સામે કડક કાર્યવાહી કરી અને સીલ કરે છે તો અદાણીનો રૂ. 12 કરોડનો ટેક્સ બાકી છે તો તેમની કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ? એવો સણસણતો સવાલ કર્યો હતો. AMCએ અદાણીને રૂ. 16 કરોડમાં 10 પ્લોટ પધરાવી દીધા હતા. BJPના કોર્પોરેટર અને રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે, બચાવમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે અને આ સબજ્યુડીસ મેટર છે. અદાણીની વાત આવે એટલે તરત કોઈને કોઈ ઉભા થઈ જાય છે એવું કહીને શેહજાદખાન પઠાણે બિનસંસદીય શબ્દપ્રયોગ કરવાને પગલે મ્યુનિ. બોર્ડમાં ભાજપના ગણ્યા ગાંઠયા કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો. આ વેળા રેવન્યૂ ચેરમેને પણ વિપક્ષી નેતા માટે બિનસંસદીય શબ્દપ્રયોગ કરતાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ આ ઉચ્ચારણોનો જોરદાર વિરોધ કરવા સાથે આક્ષેપબાજી કરવાને પગલે BJP- કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા અને ભારે ધાંધલ- ધમાલભર્યા દ્રશ્યો સર્જાવાને પગલે મામલો બિચકે અને પરિસ્થિતિ બેકાબૂ બને તે પહેલાં મેયરે શાણપણ વાપરીને મ્યુનિ.બોર્ડને ભોજનના વિરામ માટે એક કલાક માટે મુલતવી રાખ્યું હતું.

શહેઝાદખાન પઠાણે જણાવ્યું કે, તાજેતરમાં અમેરીકાની એક શોર્ટ સેલિંગ સંસ્થા હિંડનબર્ગનો એક રિપોર્ટ કારણે દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગણતરીના દિવસોમાં દુનિયાના અમીરોની ટોપ-20ની યાદીમાંથી પણ બહાર થઇ ગયા છે. હાલ શહેરની ચાની કિટલી ઉપર જાઓ તો પણ અદાણી અને હિંડનબર્ગના રિપોર્ટની ચર્ચા છે. સોશિયલ મીડિયા ઉપર પણ અદાણી અને હિંડનબર્ગના રિપોર્ટની ચર્ચા છે, લોકસભા અને રાજ્યસભામાં પણ અદાણી અને હિંડનબર્ગના રિપોર્ટની ચર્ચા છે. અદાણીએ શું ગોટાળા કર્યા તેની તમામ બાબતોથી આપ સૌ વાકેફ્ હશો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અદાણી વચ્ચે જૂનો સંબંધ છે. AMC દ્વારા અમદાવાદમાં અદાણીની કંપનીઓ ચલાવવા ઘણી મદદ કરી છે.

અદાણીની 7 જેટલી કંપનીઓ છે જે શેરબજારમાં લીસ્ટેડ છે. આ પૈકી વર્ષ 2004માં ગૌતમ અદાણીએ એક કંપની બનાવી હતી જેનુ નામ અદાણી ટોટલ ગેસ લિ. હતુ. પહેલાં આ કંપનીનું નામ અદાણી ગેસ લિમીટેડ હતુ પછી તેને બદલીને ટોટલ શબ્દ ઉમેરાયો હતો તેવું મારું માનવું છે પણ આ કંપનીનો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સાથે દોઢ દાયકા જુનો નાતો છે. અદાણીએ અદાણી ટોટલ ગેસ લિ. કંપની બનાવી હતી. આ કંપની હાલમાં અમદાવા શહેરમાં સીએનજી ગેસનું વેચાણ કરે છે.

કરોડોના બાકી ટેક્સ વસૂલવા અદાણી સામે પગલાં લેવાની AMC અધિકારીઓની હિંમત નથી

વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, AMC દ્વારા સામાન્ય નાગરિકોની પાસે પ્રોપર્ટી ટેક્સની નજીવી રકમ બાકી હોય તો પણ સીલીંગની કાર્યવાહી કરે છે પણ અદાણી ગેસ લિ. સામે અમદાવાદ મ્યુનિ.ના હોદ્દેદારો અને અધિકારીઓની હિંમત ચાલતી નથી. અમદાવાદ શહેરમાં અદાણી ગેસ દ્વારા નાંખવામાં આવેલી પાઇપલાઇનોનો પ્રોપર્ટી ટેક્સની આકરણી કરીને તેમને બિલ આપવામાં આવ્યા છે. અદાણી ગેસ પાસેથી અંદાજે રૂ. 12 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ લેવાનો નીકળે છે પણ આજદિન સુધી તેની સામે કાર્યવાહી કરાઇ નથી. આ સમગ્ર મામલો કોર્ટમાં છે પણ કોર્ટ દ્વારા તેમની સામે કાર્યવાહી ન કરવી તેવો સ્ટે આપ્યો નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ગુજરાત હાઇકોર્ટમાં કેસ જીતી ગઇ છે છતાં આ કેસમાં કોઇપણ પ્રકારની રિકવરી કરવામાં આવી નથી. અદાણી ગેસ પાસે આ 12 કરોડની રકમ પણ બસોમાં CNG પૂરાવીને વસૂલ કરવામાં આવે તો નવાઇ નહીં.


  • Follow us on: