આણંદની એક શાળાએ નીતિ નિયમો નેવે મૂકતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો. આણંદની આનંદલાય વિદ્યાલયમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરાતા વાલીઓ રોષે ભરાયા. વાલીઓના હોબાળાને પગલે શાળા દ્વારા મુખ્ય દરવાજાને તાળા મારી દેવાયા. છતાં પણ હાર ના માનનારા વાલીઓ શાળાના ગેટ બહાર રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા.શાળા બહાર ભેગા થયેલ વાલીઓના ટોળાએ આચાર્યને સસ્પેન્ડ કરવા માંગ કરી.
શાળાએ નીતિ નિયમો નેવે મૂકયા
આણંદની આનંદાલય વિદ્યાલયમાં નિયમો વિરુધ ચાલતી પ્રવૃત્તિને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો. આનંદાલય વિદ્યાલયમાં એડમિશન માટે લેખિત ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં અનેક અપમાનજનક પ્રશ્નો હતા.લેખિત ઇન્ટરવ્યૂમાં લગભગ 50 જેટલા પ્રશ્નોનું ફોર્મ ભરાવવામાં આવ્યું હતું અને તેને કોન્ફિડન્સીયલ ફોર્મ કહેવામાં આવ્યું હતું. આ ફોર્મમાં કેટલાક પ્રશ્નો ગરીબો અને મધ્યમ વર્ગીઓના આત્મસન્માન ને ઠેસ પહોંચાડે એવા આઘાતજનક હતા.
વાલીઓનો વિરોધ
જેનો ભાજપના અગ્રણી વાલી પિંકલ ભાટીયાએ સહિત અન્ય વાલીઓએ પણ વિરોધ કર્યો. તેમજ યુવાનો અને ABVPએ પણ ઉપરોક્ત ઇન્ટરવ્યૂ લેવાની નિતિનો વિરોધ કર્યો હતો. એકત્ર થયેલા વાલીઓએ ગેરરીતી બદલ આનંદાલયના આચાર્યને તુરંત સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી હતી. અને જો આમ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
શાળા પર આક્ષેપ
વાલીઓએ શાળાની અન્ય કામગીરીને લઈને પણ આક્ષેપ કરતાં કહ્યું કે શાળામાં સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઘોર ઉલ્લંઘન થઈ રહ્યું છે.કારણ કે કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ શાળા વિદ્યાર્થીને પ્રવેશ આપવા સમયે વાલીઓ અને વિધાર્થીઓના ઇન્ટરવ્યુ લઈ શકે નહીં. શાળા દ્વારા એફઆરસીના નિયમ કરતા વધુ ફી ઉઘરાવવામાં આવે છે તેમજ ફોર્મ ફીના નામે 500 રૂપિયા પડાવવામાં આવતા હોવાથી વાલીઓ રોષે ભરાયા હતા.લેખિત ઇન્ટરવ્યુમાં અપમાનજનક પ્રશ્નો પૂછાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. હોબાળાના પગલે આજે વાલીઓને પ્રવેશદ્વાર પર જ રોકવામાં આવ્યો. શાળા સંચાલકો દ્વારા ગેટની તાળું મારી દેવામાં આવ્યું અને બહાર ઉભેલા વાલીઓ પાસેથી આવેદન પત્ર લેવામાં આવ્યું.
વાલીઓની માંગ
વાલીઓએ આવેદનપત્રમાં પોતાની માંગ રજૂ કરતા પ્રિન્સિપાલ તેમજ ઇન્ટરવ્યુ ઓપરેટ કરનારને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. આ ઉપરાંત ડોનેશન માંગનર આનંદાલય શાળાના અધિકારી લક્ષ્મીબેનને ફરજ મુક્ત કરી તેમના પર તપાસ બેસાડવાની માંગ કરી હતી. વાલીઓની ખાસ માંગ છે કે લેખિત ઇન્ટરવ્યુમાં કોન્ફીડેન્સીયલ ફર્મના નામે તેમની અંગત જાણકારી લેવામાં આવી છે તે ઓરિજીનલ સાથે પરત કરવામાં આવે અને શાળાના સંચાલકો લેખિતમાં તમામ વાલીઓની માફી માંગે અને તોતિંગ ફીમાં ઘટાડો કરે.જો તેમની આ માંગ સ્વીકારવામાં ના આવે તો વાલીઓ દ્વારા કાયદાકીય કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવી.









