- મૃતકની પત્નીએ પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી
- સ્યુસાઇડ નોટ મળતા પાંચેય વ્યાજખોરોના નામનો ઉલ્લેખ
- વ્યાજ સહિત મૂડી ચૂકવી હોવા છતાં ઉઘરાણી કરીને ત્રાસ આપે છે
વાસણામાં પાંચ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને એક વેપારીએ ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકની પત્નીએ વાસણા પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. વાસણામાં રહેતા વિનોદ ચંદુલાલ ઠક્કર પરિવાર સાથે રહીને જસરાજ ફ્લોર ફેક્ટરી નામની દુકાન ચલાવતા હતા. થોડા દિવસ પહેલાં વિનોદભાઇએ તેમની પત્ની સોનલબેનને કહ્યું કે, મેં ધંધા અર્થે પૈસાની જરૂરિયાત ઊભી થતા દર્શક ઠક્કર, ગોપાલ તારાજી પ્રજાપતિ, કમલેશ પટેલ, ઉમેશ ચૌહાણ અને અનિલ અગ્રવાલ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. બાદમાં પાંચેયને વ્યાજ સહિત મૂડી ચૂકવી હોવા છતાં મારી પાસે પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપે છે. કમલેશ પટેલ મને ફસાવીને મારી કાર લઇને જતો રહ્યો છે. ગત, 5 એપ્રિલે વહેલી સવારે વિનોદભાઇ હું દુકાને એક કામ પતાવીને આવું છું કહીને નીકળ્યા હતા. વિનોદભાઇ સવારના 7.30 વાગ્યા સુધી ન આવતા દીકરીએ ફોન કર્યો પણ ઉપાડયો ન હતો. આથી દીકરીએ દુકાન પાસે રહેતા સંબંધીને ફોન કરીને દુકાન જઇને વાત કરાવવા કહ્યું હતું. સંબંધી દુકાને પહોંચતા શટર અંદરથી બંધ હોવાથી તાત્કાલિક પરિવારને જાણ કરતા બધા દુકાને પહોંચી શટર ખોલીને જોતા અંદર વિનોદભાઇએ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. દુકાનમાંથી સ્યુસાઇડ નોટ મળતા પાંચેય વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે સોનલબેને વાસણા પોલીસ સ્ટેશનમાં પાંચેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દર્શક જશવંતભાઇ ઠક્કર, અનિલ અગ્રવાલ (ગૃપ્તા), ઉમેશ ચૌહાણની ધરપકડ કરી છે.










