વેરાવળમાં પ્રેમ પ્રકરણમાં દુખદ ઘટના સામે આવી છે. વેરાવળ હરસિધ્ધિ સોસાયટી નજીક યુવક યુવતીએ સજોડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રેમ પ્રકરણનો દુ:ખદ અંત

પ્રેમમાં આંધળા બનેલા એક પરણિત યુવકે યુવતી સાથે સજોડે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. વેરાવળની ભાગોળે આવેલ હરસિધ્ધિ સોસાયટીના છેવાડે અવાવરું જગ્યામાં એક ઝાડ પર બંને પ્રેમીઓએ ગળેફાંસો ખાધો હતો. યુવક અને યુવતીનો મૃતદેહ નજરે પડતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો કર્યો હતો અને પી.એમ અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ચકચારી ઘટના અંગે DYSP વી.આર.ખેંગારે જણાવ્યું હતું કે, વેરાવળ શહેરની હરસિધ્ધિ સોસાયટી પાસે વહેલી સવારે સોસાયટીના છેવાડાના ભાગે આવેલી અવાવરુ જગ્યામાં એક યુવક અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતા મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ અંગે તરત જ પોલીસને જાણ કરી હતી.

સમાજના ડરે બન્નેએ આપઘાત કર્યો

ઘટનાની માહિતી મળતાં વેરાવળ સીટી પોલીસના PSI જી.એન. કાછડ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક-યુવતી ખારવા સમાજના હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવકની ઓળખ કમલેશ કિશનભાઈ ભારાવાલા (ઉંમર 29) તરીકે થઈ છે જે પરણિત હતો.

યુવતીની ઓળખ નંદની વેલજીભાઈ કુહાડા (ઉંમર 20) તરીકે થઈ છે. પોલીસે બંને મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. પ્રાથમિક તપાસ હાથ ધરતાં મૃતક યુવકની પત્ની દમયંતી બેનએ પોલીસ ને જણાવ્યું હતું કે, તેના પતિ કમલેશ અને નંદની વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બે દિવસ પૂર્વે બન્ને ઘરેથી ભાગી ગયા હતા. સમાજના ડરે બન્નેએ આપઘાત કરી લીધો છે. આમ પ્રેમ પ્રકરણને કારણે બંનેએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.


  • Follow us on: