વડોદરાની MS યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે રાજીનામું આપ્યું. શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા વાઈસ ચાન્સેલર તરીકે ડો. વિજયકુમાર શ્રીવાસ્તવની 2022માં નિમણૂંક થઈ હતી. વિજયકુમારની નિમણૂંક થતાં યુનવર્સિટીના જ પ્રોફેસર દ્વારા વિરોધ કરવામાં આવ્યો. એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠકે વાઈસ ચાન્સેલર તરીકે નિયમ વિરુદ્ધ નિમણૂંક કરાઈ હોવાનો આરોપ લગાવતા પિટિશન દાખલ કરી. વીસીના રાજીનામાને લઈને વર્તુળોમાં ચર્ચા છે કે પિટિશનમાં ભાંડો ફૂટતા સરકારે રાજીનામું લખાવી લીધું.


વાઈસ ચાન્સેલરની નિમણૂંકમાં ગેરરીતિ

પિટિશન કરનાર પ્રોફેસર સતીશ પાઠકે યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની નિમણૂંકમાં ગેરરીતિ થઈ હોવાનું જણાવ્યું. તેમણે વિજય શ્રીવાસ્તવની નિમણૂંક ગેરકાયદે ઠેરવી હતી. વધુમાં તેમણે કહ્યું કે વાઈસ ચાન્સલેર તરીકે કોઈપણ પ્રોફેસરને 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જ્યારે વિજયકુમાર શ્રીવાસ્તવ પાસે પૂરતો અનુભવ નથી. તેમજ તેઓ યુજીસીમાં પણ સભ્ય ન હતા. અને છતાં પણ કેવી રીતે નિમણૂંક થઈ તેને લઈને યુનિવર્સિટીના વર્તુળોમાં ચર્ચા જગાવી હતી.અત્યારે રાજ્યમાં નકલીનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. નકલી રજિસ્ટ્રાર, નકલી ડોક્ટર, નકલી દવાઓ, નકલી પોલીસ અને આ કિસ્સો પણ નકલી વીસી જેવો જ કહી શકાય. આ નકલી વીસી જેવો જ મામલો છે.

સન્માન અને સુવિધા પરત લેવી જોઈએ

વાઈસ ચાન્સેલરના રાજીનામું આપવા પર પ્રોફેસર સતીશ પાઠકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ફક્ત રાજીનામાથી વાત અટકાવી ના જોઈએ. દરેક સન્માન અને એવોર્ડ પણ પરત લઈ લેવા જોઈએ.વાઈસ ચાન્સલેર બન્યા બાદ વિજય શ્રીવાસ્તવ કરેલ દરેક વિદેશ પ્રવાસના નાણાં વસૂલવા જોઈએ.પદ પર નિમણૂંક આપ્યા બાદ જે સુવિધા આપી તે પણ વસુલવી જોઈએ. વિજય કુમારની નિમણૂંક થઈ ત્યારથી અમે સતત તેનો વિરોધ કરી રહ્યા છીએ. છેલ્લા ઘણા સમયથી અમે લડત ચલાવતા હતા પરંતુ કોઈ સાંભળતું ન હતું. પરંતુ અંતે હાઈકોર્ટમાં પિટિશન કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. અને એટલે જ ભાંડો ફૂટતા સરકારે વીસી પાસેથી રાજીનામું લખાવી લીધું. પ્રોફેસર સતીશ પાઠકે રાજીનામા મુદ્દે કહ્યું કે આ ફક્ત પ્રારંભ છે જેને અમે આવકારીએ છે

વાઈસ ચાન્સેલરની નિમણૂંક બની વિવાદ

નોંધનીય છે કે રાજ્ય સરકારે ફેબ્રુઆરી 2022માં MS યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે વિજય કુમારની નિમણૂંક કરી હતી. પરંતુ વિજયકુમારની નિમણૂંક ગેરકાયદે થઈ હોવાની યુનિવર્સિટીના જ પ્રોફેસર દ્વારા આરોપ લગાવી પિટિશન ફાઈલ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. અગાઉ એમ.એસ. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસ હતા. છેલ્લા સાત વર્ષથી એમ.એસ. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે પરિમલ વ્યાસ હતા. પરંતુ તેમનો કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા ડો. વિજયકુમારની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંક કરી હતી.

  • Follow us on: