વડોદરાની IOCL રિફાઈનરીમાં સોમવારે સાંજના સમયે લાગેલી આગની દુર્ઘટનામાં બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગ એટલી ભીષણ હતી કે કાબૂ મેળવતા 15 કલાક લાગી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ આજ સવારથી રિફાઈનરી રાબેતા મુજબ ચાલુ થઈ હતી. કર્મચારીઓ પણ પહોંચ્યા હતા પરંતુ, થોડીવારમાં જ ડરના માર્યા બહાર નીકળી ગયા હતા. તો બીજી તરફ આગની દુર્ઘટનામાં જે બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા. તેમના પરિવારજનો રિફાઈનરીના ગેટ પર આવી પહોંચ્યા હતા અને આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. દીકરાને ગુમાવનાર માતાએ કહ્યું હતું કે મને મારો દીકરો જોઈએ.

IOCL રિફાઈનરી પર મોટી સંખ્યામાં પરિવારજનો અને કંપનીના અન્ય કર્મચારીઓ એકત્ર થઈ જતા પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. મૃતક કર્મચારીના પરિવારજનો વારસદારોને નોકરી અને સહાયની માગ કરી રહ્યા છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રિફાઈનરી પર પહોંચ્યા છે અને કંપનીના અધિકારીઓ અને પરિવારજનોને સાથે રાખી મામલાનો યોગ્ય ઉકેલ આવે તે માટે બેઠક કરી રહ્યા છે.
આગની દુર્ઘટના અંગે તપાસનો આદેશ અપાયો
આઇઓસીએલ રિફાઇનરીમાં આગની દુર્ઘટના અંગે તપાસ અને જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે. વડોદરા કલેકટર બીજલ શાહે જણાવ્યું છે કે, ગુજરાત રિફાઇનરીમાં તા. 11 નવેમ્બરના રોજ થયેલી આગની દુર્ઘટનાના સંદર્ભમાં ધારાધોરણો - નોર્મ્સ પ્રમાણે તપાસ અને આગળની કાર્યવાહી કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઈ.ઓ.સી.એલ.ને જણાવવામાં આવ્યું છે.

પાદરાના પૂર્વ ધારાસભ્યએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી
IOCL બ્લાસ્ટ દુર્ઘટનાના પગલે પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર પણ આજે રિફાઈનરીની બહાર પહોંચ્યા હતા. અહીં ધરણા પર બેસેલા મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મૃતકોના પરિજનોને યોગ્ય વળતર મળે તે માટે જશપાલસિંહએ માગ કરી હતી.
મૃતકના કર્મચારીઓએ કંપની પર રસ્તો રોકી વિરોધ પ્રદર્શિત કર્યો
મૃતક યુવકોના પરિજનો રિફાઈનરી બહાર બેસી ધરણા કરી રહ્યા છે. કલાકો બાદ પણ પોતાની માગણીનો સંતોષકારક ઉકેલ ન આવતા પરિજનો રસ્તા પર બેસી ગયા હતા અને કર્મચારીઓને કંપનીમાં જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો.









