સરકારી શાળાઓમાં મધ્યાન ભોજન પુરૂ પાડતી વડોદરામાં કાર્યરત અક્ષય પાત્ર સંસ્થાના કોન્ટ્રાક્ટના કર્મીઓ દ્વારા એકાએક હડતાલ પાડવામાં આવી છે. તેમના દ્વારા વેકેશનનો પગાર માંગવામાં આવતા આશરે 250 જેટલા કોન્ટ્રાક્ટના કર્મીઓને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. જે બાદ તેમનામાં છુપો રોષ ફાટી નીકળ્યો છે. અને હવે તેઓ તેમના પગાર તથા કાયમી કરવાના પ્રશ્નનો કાયમી ઉકેલ માંગી રહ્યા છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં અક્ષય પાત્ર સંસ્થાનું મોટું રસોડું આવેલું છે. અહિંયા કામ કરતા 250 જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા ભેગા મળીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વિરોધકર્તાઓને અચાનક કાઢી મુકવામાં આવ્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ મામલે આગળ પણ લડી લેવાની તૈયારીઓ તેઓ દર્શાવી રહ્યા છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
વડોદરામાં કાર્યરત અક્ષય પાત્ર સંસ્થામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મી સંજય પરમારએ જણાવ્યું કે, હું છેલ્લા 12 વર્ષથી કોન્ટ્રાક્ટમાં કામ કરું છું. અચાનક ફોન આવ્યો કે, તમારા કોન્ટ્રાક્ટ ઉડી ગયા છે. અને નોકરીમાંથી બધાયને છુટ્ટા કરવામાં આવ્યા છે. કંપની સામે અમારી પગાર વધારાની માંગણી હતી, તે લોકોનું પગાર ધોરણ વધારતા નથી. અમે જિલ્લા કલેક્ટર જોડે વાત કરી હતી. તેમણે વેકેશનનો પગાર અને અન્ય માંગણીઓ ડિસેમ્બરમાં પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અમે તે સમયે કોઇ હડતાલ કરી ન્હતી. હવે તેમને પગાર આપવાના થયા એટલે તેમણે કોન્ટ્રાક્ટ ઉડાવી દીધા છે. હવે બધાને ઘરે બેસાડી દીધા છે.
વધુમાં જણાવ્યું કે, સંસ્થાએ બાઉન્સરો અને પોલીસ મુકી દીધી છે. અમે આરોપીઓ નથી, અમે પગાર માંગીએ છીએ. કોન્ટ્રાક્ટના લોકોને તો કંપનીમાં ઘૂસવા નથી દેતા. અમારે ક્યાં જવું, અમારે ન્યાય ક્યાંથી મેળવવો. તેમણે દિવાળી વેકેશનમાં લોકોને ઘરે બેસાડી દીધા છે. તેમણે કોન્ટ્રાક્ટના 250 જેટલા લોકોને ઘરે બેસાડી દીધા છે. બે વર્ષથી વેકેશનનો પગાર અમને આપ્યો નથી. પગારની માંગણી કરવી તે કોઇ ગુનો થોડી છે. અમે અત્યાર સુધી હડતાલ નથી કરી. અમારી માંગણી છે કે, અમને વેકેનનો પગાર મળે, અને સાથે જ સંસ્થામાં કર્મચારીઓને પરત લેવામાં આવે. અમારી માંગણીઓ સ્વિકારમાં નહીં આવે તો અમે આંદોલન કરીશું, અને જરૂર પડ્યે ભૂખ હડતાલ પર પણ ઉતરી જઇશું.