વડોદરા શહેરમાં તાજેતરમાં બનેલા હિટ એન્ડ રનના રક્ષિત કાંડ કેસમાં પોલીસ કમિશનર દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ ઘટનામાં કારેલીબાગ પોલીસ મથકના 3 ASIની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
હિટ એન્ડ રનનો અકસ્માત સર્જાયા બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી. જો કે, આરોપીએ પોલીસ કસ્ટડીમાં હોવા છતાં મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ બાબતને પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ગંભીર ગણી છે અને તેને ગેરશિસ્ત ભરેલી કામગીરી તરીકે નોંધવામાં આવી છે. પોલીસ કમિશનરે આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 ASIની ટ્રાફિક શાખામાં બદલી કરવાનો આદેશ કર્યો છે.
આ કાર્યવાહી અંગે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, પોલીસની છબીને ખરડનાર અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ કર્મચારી સામે કડક પગલાં લેવામાં આવશે. આરોપીની કસ્ટડી દરમિયાન મીડિયા સાથે વાતચીત કરવાની મંજૂરી નથી અને આ બાબતમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ચારરસ્તા પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક મહિલાનું મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આરોપી રક્ષિતની ધરપકડ કરી ઘટનાનું રિકન્સટ્ક્શન કર્યુ હતું. આરોપીને છાતીમાં દુ:ખાવો થતાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. નશામાં ધૂત કાર ચાલકે કેટલાક લોકોને અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ભયાનક અક્માત થતાં સ્થાનિક પોલીસ માહિતીના આધારે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત સર્જનાર કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.