આજથી દેશભરમાં દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મોટાભાગના લોકો દિવાળીનો તહેવાર પોતાના વતનમાં ઉજવતા હોય છે અને દિવાળી પહેલા વતન જવા માટે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
25 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી એક્સ્ટ્રા બસ દોડાવાશે
વડોદરામાં દિવાળીના તહેવારને લઈ એસ.ટી ડેપો ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રોજની વધુ 100 બસો દોડાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે 25 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી એકસ્ટ્રા બસો લોકોની સુવિધા માટે દોડાવવાનો નિર્ણય એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં સૌથી વધુ દાહોદ રૂટ પર વધુ બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
સૌથી વધુ દાહોદ, ઝાલોદ, પંચમહાલની બસો
ત્યારે જેમ મુસાફરોની સંખ્યા વધશે તેમ બસોની સંખ્યામાં પણ વધારો થશે. હાલમાં 24 કલાક બસ ડ્રાઈવપર અને કંડકટર દોડાવી રહ્યા છે. ત્યારે એસટી વિભાગના અધિકારીઓ પણ 3 શિફ્ટમાં કામગીરી કરી રહ્યા છે. હાલમાં સૌથી વધુ દાહોદ, ઝાલોદ, પંચમહાલ તરફના રૂટની બસો દોડાવવામાં આવી રહી છે. ત્યારે દિવાળી બાદ અમદાવાદ અને સૌરાષ્ટ્રના રૂટની બસો વધારવામાં આવશે.
તમામ બસોમાં 100 ટકા જેટલુ બુકિંગ થઈ ગયું
બીજી તરફ દિવાળીના તહેવાર લઈને ભુજ એસટી વિભાગ દ્વારા પણ ખાસ આયોજન વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 100 જેટલી એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે, જેના કારણે મુસાફરોને કોઈ મુશ્કેલી ના પડે. એસટી વિભાગ દ્વારા ઉતર ગુજરાત, દાહોદ અને રાજકોટના રુટમાં એકસ્ટ્રા બસો દોડવવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં તમામ બસોમાં 100 ટકા જેટલુ બુકિંગ થઈ ગયું છે.
એસટી વિભાગને થશે વધારાની આવક
ઉલ્લેખનીય છે કે દર વર્ષે એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે અને તેના કારણે વધારાની આવક પણ થાય છે. આ વર્ષે પણ 100 જેટલી બસો દોડાવવામાં આવી રહી છે, જેના કારણે 40 લાખ રૂપિયાની આવક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.









