- રૂ.11 લાખથી વધુ દાન આપનારની દેહ શુદ્ધિકરણ વિધિ કરાઈ
- પૂર્વ મહંત બળદેવગિરિની વિશાળ કદની પ્રતિમાનું સ્થાપન કરાશે
- રાજ્યભરમાંથી સાધુ-સંતો તેમજ રબારી સહિતના સમાજોના શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થઈ ગયું છે
વિસનગર તાલુકાના તરભ સ્થિત વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે. રવિવારે 1,100 કુંડાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ શરૂ થશે. આ દરમ્યાન આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શનિવારે રૂ.11 લાખ કરતાં પણ વધુ દાન આપનાર દાતાઓની દેહ શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી. વિશાળ યજ્ઞ મંડપ નીચે યજ્ઞનો 15,000 કરતાં પણ વધુ લોકો ધાર્મિક લાભ લઈ શકશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને રાજ્યભરમાંથી સાધુ-સંતો તેમજ રબારી સહિતના સમાજોના શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થઈ ગયું છે. પ્રસિદ્ધ શિવકથાકાર ગિરિબાપુની શિવમહાપુરાણ કથા સાંભળવા સવારે 9-00 કલાકે થી ભકતો શિવધામમાં આવી ગયા હતા.
મહંતશ્રી જયરામગિરિ બાપુના માર્ગદર્શન હેઠળ શ્રધ્ધાળુઓ માટે વ્યવસ્થા જાળવવા સ્વયં સેવકોની ફોજ તૈયાર છે અને તેમના માટે વિશાળ ડોમ પણ તૈયાર કરાયો છે. તરભ વાળીનાથ ધામના દેવલોક પામેલ પ્રસિદ્ધ ધર્મગુરુ બળદેવગિરિજી મહારાજની વિશાળ પ્રતિમા મુકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં શિવલીંગનું સ્થાપન થનાર હોવાથી રાજ્યના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, મંત્રી મંડળના સભ્યો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.










