બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ત્યારે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલએ આત્મવિશ્વાસ સાથે કહ્યું છે કે, હું જીતીશ એટલે બધા જ કહેશે કે આવો ‘સાહેબ’. કદાવર નેતાઓની વચ્ચે અપક્ષ ઉમેદવાર મનમાં ને મનમાં ‘સાહેબ’ બની ગયા છે. ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓ વાવ વિધાનસભા બેઠકમાં પ્રચાર કરી રહ્યા છે. તેમજ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને અન્ય મોટા નેતાઓ વાવ બેઠકને જીતવા માટે એડીચોટીનું જોર લગાવતા ‘વચેટીયા’નું રટણ કરી રહ્યા છે. જેની વચ્ચે અપક્ષ ઉમેદવાર બેટ લઈને મેદાનમાં ઉતર્યા છે અને ભાજપના કદાવર નેતાઓ માવજીભાઈને ‘સાહેબ’ કહેશે તેવું રટણ કરી રહ્યા છે. ગુજરાતના તમામ મંત્રીઓ આવી જશે, બધા સમાજના આગેવાનો આવી જશે. જો એક ટપકું તમે વધારી દીધું તો માવજીભાઈને કોઈ નહિ રોળી શકે. પછી મુખ્યમંત્રી પણ કહેશે કે આવો માવજીભાઈ સાહેબ.
માવજીભાઇએ ભાજપ-કોંગ્રેસના જીવ અદ્ધર કરી દીધા
હાલમાં વાવ બેઠક માટે 8 ઉમેદવારો મેદાને છે, જેમાં માવજી પટેલનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં માવજી પટેલે વાવના આકોલીમાં વિશાળ જનસભાને સંબોધી હતી. મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. ભીડને જોઇને કોંગ્રેસ-ભાજપ બંને પક્ષના નેતાઓ મોંઢામાં આંગળા નાખતા રહી ગયા હતા. માવજી પટેલ ચૌધરી સમાજનું મોટું માથું ગણાય છે, તેમનું ચૂંટણી ચિહ્ન બેટ છે, બેટના ચૂંટણી ચિહ્ન સાથે 'બેટિંગ' કરવા માટે મેદાને ઉતરેલા માવજી પટેલે ધમાકેદાર બેટિંગ કરતાં ભાજપ-કોંગ્રેસના જીવ અદ્ધર કરી દીધા છે. ચૂંટણી પ્રચાર અભિયાન જેમ જેમ આગળ વધતો જશે, તેમ-તેમ માવજીભાઈ પટેલની ઉમેદવારીની અસર સ્પષ્ટ થતી જશે. માવજી પટેલની એન્ટ્રીથી બનાસકાંઠા સહિત ગુજરાતના રાજકારણમાં ફૂલગુલાબી ઠંડી વચ્ચે ગરમાવો લાવી દીધો છે. રાજકીય વિશ્લેષકો મતે પેટાચૂંટણી રસપ્રદ બની રહેશે, રસાકસીભરી જંગ જામશે. વાવની પ્રજા કોના પર પ્રેમ વરસાવે છે. એ તો આગામી સમય જ બતાવશે.
ભાજપ-કોંગ્રેસ પર તીખા પ્રહાર
વાવ તાલુકાના આકોલી ગામે યોજાયેલી સનસભામાં માવજીભાઇ પટેલના સમર્થમનમાં આસપાસના 32 ગામમાંથી તમામ જ્ઞાતિના લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન માવજીભાઇ પટેલે ભાજપ-કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે આ સત્ય-અસત્યની લડાઇ છે. આ ભાજપનો પાવર ઉતારવાનું યુદ્ધ છે. એમના મનમાં વાવની પ્રજાને મુર્ખ સમજે છે. અમે કહ્યું હતું ટિકિટ કોઇપણ સમાજના વ્યક્તિને આપો અમને વાંધો નથી. પરંતુ અમને એવો ચોકિયાત આપો જે અમારા ત્રણે તાલુકાને સાચવે. ભાજપને એક સીટ આવે કે ન આવે ફરક પડતો નથી, કારણ કે ઉપર વજન વધી ગયું છે.
ઉલ્લેખનીય છે કે આ જનસભામાં સર્વે સમાજના લોકો માવજીભાઇ પટેલને આશીર્વાદ આપતા જોવા મળ્યા હતા. ફરીથી વાવની ધરા પર એક સ્થાનિક અને અડગ નેતૃત્વ મળી શકે તેવું વાતાવરણ સર્જાયું હતું.









