ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણીની તારીખોની સાથે મત ગણતરીની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. 13 નવેમ્બરે મતદાન યોજાશે જ્યારે 23 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વાવ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું એલાન
- નામાંકન તારીખ: 18 ઓકટોબર
- નામાંકન માટેની છેલ્લી તારીખ: 25 ઓકટોબર
- નામાંકન ચકાસણી: 28 ઓકટોબર
- નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 30 ઓકટોબર
- મતદાન તારીખ: 13 નવેમ્બર
- મતગણતરી: 23 નવેમ્બર
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા. જેથી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. નિયમ મુજબ રાજીનામાના છ મુજબ ખાલી પડેલી સીટ પર ચૂંટણી યોજવી ફરજિયાત છે. જેથી આજે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખોની સાથે વાવની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે, જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.
આ ત્રણ નામ પર સૌથી વધુ ચર્ચા
સાંસદ બનતા ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ બેઠક ખાલી પડી હોવાથી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત કે.પી ગઢવીનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે, જેઓ અત્યાર સુધી ચૂંટણી લડ્યા નથી. પરંતુ છેલ્લા 40-45 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. 2005 માં કેન્દ્ર સરકારની ટેલિકોમ એડવાઇઝરી કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત વાવ-થરાદ બાર એસોસિએશનના પ્રમુખ છે. આ ઉપરાંત તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ વાવ-વાવ-તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અને ત્રીજું નામ ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.
બનાસકાંઠાને 62 વર્ષે મહિલા સાંસદ મળ્યા
પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિ.મી. દૂર આવેલા બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
ગેનીબેન ઠાકોરની બે વાર વિધાનસભા ચૂંટણી જીતી હતી
ગેનીબેન ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ કોંગ્રેસમાં સક્રિય મહિલા રાજકારણી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.
વાવ બેઠકના જાતિગત સમીકરણો
આ બેઠક પર અંદાજિત જાતિકરણ સમીકરણો તપાસીએ તો ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા, રબારી 9.1 ટકા મતદારો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આ ચૂંટણી ભારે રસાકસીનો જંગ જોવા મળી શકે છે.
આ બેઠકનો રાજકીય ઈતિહાસ
1998થી 2022 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતએ ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.
આ બેઠક કેમ ખાલી પડેલી હતી ?
બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક એટલે કે, વાવ વિધાનસભા બેઠક. આ બેઠક કોંગ્રસનો ગઢ ગણાય છે.જ્યાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને હાર આપી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત દર્જ કરાવી હતી. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેનને રાજકીય મેદાને ઉતાર્યા હતા અને જેમાં તેમણે જીત મેળવતા તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. જેને લઈ આ બેઠક ખાલી પડેલી હતી









