26 ડિસેમ્બર 2024, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા. તમને જણાવી દઈએ કે, આ એવોર્ડ બાળકોની અસાધારણ સિદ્ધિઓને ઓળખવા અને સન્માન આપવા માટે આપવામાં આવે છે.
વીર બાળ દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર બાળ દિવસ ખાસ કરીને ભારતીય બાળકોની ક્ષમતા અને તેમની સિદ્ધિઓને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 17 બાળકોને પુરસ્કાર વિવિધ કેટેગરીમાં આપવામાં આવે છે જેમાં, કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમત અને પર્યાવરણનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો બાળકો દ્વારા કરવામાં આવેલ મહત્વપૂર્ણ કાર્ય અને સિદ્ધિઓ માટે આપવામાં આવે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ એવોર્ડ વિજેતાઓને તેમના ક્ષેત્રમાં તેમના અનન્ય પ્રદર્શન માટે સન્માનિત કર્યા. આ વખતે કુલ 17 પુરસ્કાર વિજેતાઓમાંથી 7 છોકરાઓ અને 10 છોકરીઓ છે. આ બાળકોએ પોતાની મહેનત અને સમર્પણથી પોતપોતાના ક્ષેત્રમાં ઉજ્જવળ પ્રદર્શન કર્યું છે.
અમદાવાદના જીજ્ઞેશ વ્યાસને મળ્યો પુરસ્કાર
આ શ્રેણીમાં ગુજરાતના અમદાવાદના ઓમ જીજ્ઞેશ વ્યાસને પણ વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જીજ્ઞેશ વ્યાસ વિકલાંગ છે, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે તેને આ એવોર્ડ મળ્યો છે. જીજ્ઞેશ વ્યાસને 2000 સંસ્કૃત શ્લોકો મોઢે છે. તેમાં સુંદરકાંડ અને ગીતા શ્લોકનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ પણ ઓમ જીજ્ઞેશ વ્યાસની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આ એવોર્ડ એનાયત કર્યો હતો.









