અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એક કેસ આવ્યો, જેમાં મહિલાએ તેના પતિ પર દહેજ અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે દહેજના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, દંપતી વચ્ચે શારીરિક સંબંધોને લઈને વિવાદ છે. કોર્ટે એમ પણ કહ્યું કે, નૈતિક રીતે સંસ્કારી સમાજમાં પુરુષ પોતાની જાતીય ઈચ્છાઓ પોતાની પત્ની સમક્ષ વ્યક્ત નહીં કરે તો ક્યા જશે.


અલ્હાબાદ હાઈકોર્ટમાં દહેજને લઈને એક મામલો સામે આવ્યો છે. જ્યાં કોર્ટે સમગ્ર દલીલ સાંભળ્યા બાદ દહેજના આરોપને ફગાવી દીધો હતો. કોર્ટે પુરુષ સામેના દહેજના આરોપોને ફગાવી દેતા કહ્યું કે, આ આરોપો પાયાવિહોણા છે અને દંપતી વચ્ચે ચાલી રહેલા અંગત વિવાદને કારણે કરવામાં આવ્યા છે.

આ મામલામાં મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ પર આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ તેને માર મારે છે અને તેના પતિનો પરિવાર તેની પાસે દહેજની માંગણી કરે છે. કોર્ટે આ મામલાની સુનાવણી કરી અને 3 ઓક્ટોબરે મહત્વનો નિર્ણય આપ્યો. કોર્ટે દહેજની માંગને ફગાવી દીધી હતી. દંપતી વચ્ચે જાતીય સંબંધોને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેના પર કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, જો પતિ પોતાની જાતીય ઈચ્છાઓ પત્ની સમક્ષ વ્યક્ત નહીં કરે તો તે ક્યાં જશે.

કોર્ટે આરોપોને ફગાવી દીધા

ન્યાયાધીશ અનીશ કુમાર ગુપ્તાએ પતિ પ્રાંજલ શર્મા અને સાસરિયાઓ સામેના કેસને ફગાવી દેતા કહ્યું કે, પુરાવા અને સાક્ષીઓના નિવેદનો દહેજ માટે ઉત્પીડનના દાવાને સમર્થન આપતા નથી. કોર્ટે કહ્યું કે, દંપતી વચ્ચેનો વિવાદ યૌન સંબંધ સંબંધિત મતભેદને કારણે થયો હતો.

કોર્ટે કહ્યું, તે સ્પષ્ટ છે કે બંને પક્ષો વચ્ચે જે વિવાદ ઉભો થયો છે તે જાતીય સંબંધોને કારણે છે. આ કારણોસર એક પક્ષે બીજા પર દહેજ બાબતે ખોટા અને મનઘડત આક્ષેપો કર્યા હતા.

શું છે સમગ્ર મામલો?

મીશા શુક્લા નામની મહિલાના લગ્ન પ્રાંજલ શુક્લા સાથે 7 ડિસેમ્બર 2015ના રોજ હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. આ પછી બંને વચ્ચે શારીરિક સંબંધોને લઈને વિવાદ શરૂ થયો. બંને વચ્ચે ઝઘડો થયા બાદ પત્ની મીશાએ તેના પતિ અને સાસરિયાં મધુ શર્મા અને પુણ્ય શીલ શર્મા પર દહેજની માંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. FIRમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લગ્ન પહેલા દહેજની કોઈ માંગ કરવામાં આવી ન હતી. FIRમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પતિ પ્રાંજલ દારૂ પીવે છે અને અશ્લીલ ફિલ્મો જુએ છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પતિ તેની પત્ની સાથે અકુદરતી શારીરિક સંબંધ બાંધવાનો આગ્રહ રાખે છે.

કોર્ટે શું કહ્યું?

અરજદારના વકીલ વરિષ્ઠ વકીલ વિનય શરણે કહ્યું કે, એફઆઈઆરમાં લગાવવામાં આવેલા આરોપો અને પત્નીનું નિવેદન શારીરિક સંબંધો વિશે છે. એડવોકેટે જણાવ્યું હતું કે, પત્ની દ્વારા કરાયેલા આરોપો જાતીય સંબંધો અંગે મતભેદના કારણે હતા અને મહિલા પર દહેજ માટે હુમલો કરવામાં આવ્યો ન હતો. કોર્ટે એમ પણ કહ્યું કે, નૈતિક રીતે સંસ્કારી સમાજમાં પુરુષ જો પોતાની પત્ની સમક્ષ પોતાની જાતીય ઈચ્છા વ્યક્ત નહીં કરે તો ક્યાં જશે.


  • Follow us on: