• મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ સુરતમાં ઉપસ્થિત રહેશે

  • સવા કરોડ નાગરિકો યોગમયી ગુજરાતમાં સહભાગી થશે : હર્ષ સંઘવી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે

આ વખતે 21 જૂન- આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સુરતમાં યોજાશે. તેની સાથે જ બુધવારે રાજ્યમાં 60 હજારથી વધુ સ્થળોથી સવા કરોડ નાગરીકો 'યોગમયી ગુજરાત' અભિયાનમાં સામેલ થશે. સુરતમાં એક સાથે સવા લાખથી વધુ નાગરીકો યોગાભ્યાસમાં જોડાઈને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે તેમ યુવક સેવા, રમતગમત બાબતોના મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો સુરતમાં રાજ્યકક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે. જેનુ જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનારા કાર્યક્રમોમાં થશે. રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક, ધાર્મિક મહત્વ ધરાવતા 75 આઈકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી થશે. 'યોગમય ગુજરાત' અભિયાનમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો સહિત પદાધિકારી પણ સહભાગી થશે. રાજ્યકક્ષાના કાર્યક્રમ માટે સુરતમાં 'વાય' જંકશનથી SVNIT સર્કલ સુધીના 4 કિલોમીટર સુધી, 'વાય' જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ સુધીના 4 કિ.મી. અને તેવી જ રીતે 'વાય' જંક્શનથી સુરત એરપોર્ટ ગેટ 4.5 કિ.મી. એમ પ્રત્યેક એક કિ.મી.માં 10 હજાર નાગરીકો લેખે સવા લાખથી વધુ નાગરીકો 12.5 કિ.મી.ના પાથમાં યોગાભ્યાસ કરશે.


  • Follow us on: