- ભાજપ દ્વારા ચૂંટણીને લઇને પ્રચાર કરાયો તેજ
- રાજનાથસિંહે રાજસ્થાનના બીકાનેરમાં કર્યો પ્રચાર
- કોંગ્રેસને લેતા કહ્યું, જવાનોની બહાદુરી પર સવાલ ઉઠાવે ત્યારે દુઃખ થાય છે
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપના સ્ટાર પ્રચારકો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે. પીએમ મોદી, જે.પી નડ્ડા, અમિતશાહ, સીએમ યોગી સહિત રાજકીય દિગ્ગજો દ્વારા પ્રચાર પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહ આજે રાજસ્થાનમાં પહોંચ્યા હતા.
દેશના જવાનો પર સવાલ ઉઠાવે ત્યારે દુઃખ થાય છે- રાજનાથસિંહ
રાજસ્થાનની બિકાનેર લોકસભા સીટ પર કોલાયતમાં રાજનાથ સિંહે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ સંરક્ષણ દળોની બહાદુરી પર સવાલ ઉઠાવે છે ત્યારે મને દુઃખ થાય છે.તેમણે કહ્યું કે, 2027ની શરૂઆતમાં ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
કડક કાયદો વ્યવસ્થા વિકાસની પહેલી શરત- રાજનાથસિંહ
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ સરકારમાં કાયદો અને વ્યવસ્થા નથી. ઘરમાં ઘુસીને લોકોના ગળા કાપવામાં આવ્યા, લોકોને મારવામાં આવ્યા. પરંતુ વર્તમાન ભજનલાલ સરકારે જે રીતે કાયદો અને વ્યવસ્થા અંગે સક્રિય પગલાં લીધાં છે તે પ્રશંસનીય છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે કોઈપણ વિસ્તારના વિકાસ માટે પ્રથમ શરત કડક કાયદો અને વ્યવસ્થા છે.
વન નેશન વન ઇલેક્શન અંગે શું બોલ્યા ?
વન નેશન વન ઇલેક્શન અંગે તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ પહેલ કરી છે. દેશમાં વારંવાર ચૂંટણી ન થવી જોઈએ. આ માટે પીએમએ એક કમિટીની રચના કરી હતી જેનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દેશની જનતા પણ આને સમર્થન આપશે, તેનાથી પૈસાની સાથે સાથે સમયની પણ બચત થશે. પરંતુ કોંગ્રેસ તેનો વિરોધ કરશે કારણ કે દરેક બાબતનો વિરોધ કરવો એ કોંગ્રેસનો સ્વભાવ છે.









