તહેવારોની સિઝન શરૂ થતાં જ માર્કેટ અનેક પ્રકારની ઑફર્સથી ભરાઈ જાય છે. ત્યારે હવે સરકાર દ્વારા પણ આ પ્રકારની ઑફર જનતાને આપવામાં આવી રહી છે. પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગસામીએ રવિવારે દિવાળી પહેલા મોટી જાહેરાત કરી છે. રંગસામી સરકારે દિવાળી પહેલા વ્યાજબી ભાવની દુકાનો દ્વારા કાર્ડ ધારકોને 10 કિલો ચોખા અને 2 કિલો ખાંડ મફતમાં આપવાનો નિર્ણય લીધો છે.

દુકાનો ફરી ખોલવામાં આવશે
પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીએ જણાવ્યું હતું કે દિવાળી પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં જાહેર વિતરણ પ્રણાલી હેઠળ આવરી લેવામાં આવતા તમામ પરિવારોને મફત ચોખા અને ખાંડનું વિતરણ કરવાનો નિર્ણય વિવિધ ક્વાર્ટર તરફથી મળેલી અરજીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ પડેલી રાશનની દુકાનો ચોખા અને ખાંડના વિતરણ માટે ફરીથી ખોલવામાં આવશે.

સરકારે કોન્ટ્રાક્ટ ફાઈનલ કર્યો
મુખ્યમંત્રીએ કહ્યું કે વાજબી ભાવની દુકાનોમાં કામ કરતા કર્મચારીઓ કે જેમને ઘણા મહિનાઓથી પગાર મળ્યો નથી, જ્યારે દુકાનો ખુલશે ત્યારે તેમને એક મહિનાનો પગાર આપવામાં આવશે. પુડુચેરી સરકારે ચોખા અને ખાંડના સપ્લાય માટે કોન્ટ્રાક્ટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

લાખો પરિવારોને ફાયદો થશે
મુખ્યમંત્રીએ કહ્યું કે મફત વિતરણ યોજના માટે ચોખા અને ખાંડની ખરીદી માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં લગભગ ત્રણ લાખ પરિવારોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
  • Follow us on: