આજે મુંબઇ 26-11 હુમલાને 16 વર્ષ થઇ ગયા છે. ભલે આ હુમલાને આટલો સમય વીત્યો હોય પરંતુ તે ભયાનક તસવીરો આજે પણ નજર સામેથી હટતી નથી. આ હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ એવા ઘણા લોકો હતા જેમણે બીજાના જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો. ત્યારે આજે વાત કરીએ એ વીર જવાનોની જેમણે અન્યનો જીવ બચાવવા પોતાના જીવની પણ પરવાહ ન કરી.

મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન
આ હુમલામાં મેજર સંદીપ ઉન્નીકૃષ્ણને જીવ ગુમાવ્યો હતો. તમને જણાવી દઈએ કે તેમનો જન્મ 15 માર્ચ 1977ના રોજ કેરળના કોઝિકોડમાં થયો હતો. મેજર ઉન્નીકૃષ્ણન 20 જાન્યુઆરી, 2007ના રોજ 51% NSGમાં જોડાયા હતા. આ હુમલા દરમિયાન તેમણે ટીમ સાથે તાજ હોટલમાં બંધક બનાવવામાં આવેલા લોકોના જીવ બચાવ્યા, જ્યાં 80 લોકો માર્યા ગયા અને 240 લોકો ઘાયલ થયા હતા. આ ઓપરેશન દરમિયાન મેજર સંદીપ ઉન્નીકૃષ્ણને પણ જીવ ગુમાવ્યો હતો. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનને મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

તુકારામ ઓમ્બલે
મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરતા તુકારામ ઓમ્બલે પણ 26/11ના હુમલા વખતે ફરજ પર હતા. મુંબઈમાં ગિરગામ ચોપાટી પર આતંકવાદી અજમલ કસાબને પકડવાનો પ્રયાસ કરતી વખતે તેમનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે તુકારામ પાસે કોઈ હથિયાર નહોતું, છતાં તેમણે બહાદુરીથી કસાબનો સામનો કર્યો અને તેની રાઈફલ પકડી લીધી, જેથી તેને જીવતો પકડી શકાય. ઝપાઝપીની વચ્ચે, કસાબે ઘણી ગોળીઓ ચલાવી, જેમાં ઓમ્બલેને ગંભીર ઈજા થઈ અને તેમનું મૃત્યુ થયું. તુકારામ ઓમ્બલેને તેમની બહાદુરી માટે મરણોત્તર અશોક ચક્ર પણ એનાયત કરવામાં આવ્યો હતો.

હેમંત કરકરે
હેમંત કરકરે 26/11ના હુમલા વખતે મહારાષ્ટ્રના એટીએસના ભૂતપૂર્વ વડા તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ સીએસટી સ્ટેશનથી માત્ર 10 મિનિટના અંતરે દક્ષિણ મુંબઈમાં કામા હોસ્પિટલની બહાર શહીદ થયા હતા. કરકરે અગાઉ ઓસ્ટ્રિયામાં RAW અને ભારતીય મિશનમાં કામ કરી ચૂક્યા છે અને ATS ચીફ તરીકે નિયુક્ત થયા પહેલા મુંબઈના જોઈન્ટ કમિશનર હતા. જ્યારે આતંકવાદીઓ અજમલ કસાબ અને અબુ ઈસ્માઈલે તેની ટોયોટા ક્વોલિસ પર ગોળીબાર કર્યો ત્યારે વરિષ્ઠ અધિકારીઓ અશોક કામટે અને વિજય સાલસ્કર સાથે તે માર્યો ગયો.

અશોક કામટે
મુંબઈના એડિશનલ કમિશનર અશોક કામટે લેફ્ટનન્ટ કર્નલ મારુતિ રાવ નારાયણ રાવ કામટેના પુત્ર હતા. તેઓ પોલીસ એસયુવીની આગળની સીટ પર બેઠેલા હતા અને શહીદ થયા હતા. તેઓ હેમંત કરકરે અને વિજય સાલસકર સાથે અજમલ કસાબે ફાયરિંગ કરતા શહીદ થયા હતા. તેમની બહાદુરી માટે તેમને મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

વિજય સાલસકર
શહીદ થયા પહેલા વિજય સાલસકર મુંબઈ એન્ટી એક્સટોર્શન સેલના વડા તરીકે કામ કરતા હતા. 26/11ના હુમલા દરમિયાન અજમલ કસાબે તેમની હત્યા કરી હતી. જ્યારે તેઓ હેમંત કરકરે અને કામટે સાથે ટોયોટા ક્વોલિસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની બહાદુરી માટે તેમને મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

શું થયુ હતું 26/11એ ? 

મહત્વનું છે કે 26/11ના હુમલામાં 10 આતંકવાદીઓના સમૂહે મુંબઈની સડકો પર તબાહી મચાવી હતી. લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી જૂથના આતંકવાદીઓ 26 નવેમ્બર, 2008ની રાત્રે મુંબઈ શહેરમાં ઘૂસ્યા હતા. ચાર દિવસમાં 166 લોકો માર્યા ગયા અને 300 ઘાયલ થયા. આ હુમલા મુંબઈના અલગ-અલગ ભાગોમાં થયા છે, જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ, ઓબેરોય ટ્રાઈડેન્ટ, તાજ હોટેલ અને નરીમાન હાઉસ સામેલ છે. આ હુમલામાં સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકોના મોત થયા હતા. આજે આ ઘટનાને 16 વર્ષ થઈ ગયા છે. ચાલો આપણે એ બહાદુર જવાનોને સલામ કરીએ જેમણે દેશની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.


  • Follow us on: