ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. આ ઓપરેશન મોડી રાત્રે 1 વાગ્યે શરૂ થયું હતું અને માત્ર 25 મિનિટમાં જ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ આજે બુધવારે દિવસભર ભારત અને પાકિસ્તાનમાં સતત હંગામો મચ્યો છે. આ સફળ ઓપરેશન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહેલા તેમના ટોચના મંત્રીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક યોજી અને ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિને મળવા ગયા અને સમગ્ર ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપી છે.
આતંકીઓના કેમ્પ પર મચાવી તબાહી
ભારતીય સેના દ્વારા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું અને તેના કલાકો પછી જ પીએમ મોદીએ તેમના સત્તાવાર નિવાસસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન, તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદીના કેમ્પ પર લક્ષિત હુમલાઓ માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય જવાનોએ લીધો
તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો ગઢ અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના ઠેકાણાનો સમાવેશ થાય છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓ અને તેમના ગઢને મોટું નુકસાન થયું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લગભગ 100 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.









