• દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને BJP વચ્ચે 'પોસ્ટર વોર' શરૂ થયું
  • પોસ્ટરમાં લખ્યું- અરવિંદ કેજરીવાલને હટાવો, દિલ્હી બચાવો'
  • અગાઉ પીએમ મોદી વિરુદ્ધ શહેરભરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને BJP વચ્ચે 'પોસ્ટર વોર' શરૂ થઈ ગઈ છે. અગાઉ પીએમ મોદી વિરુદ્ધ શહેરભરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જ્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મંડી હાઉસ પાસે લાગેલા પોસ્ટરમાં દિલ્હીના મુખ્યમંત્રીની તસવીર છે અને લખવામાં આવ્યું છે કે, 'અરવિંદ કેજરીવાલને હટાવો, દિલ્હી બચાવો'. અહીં ખાસ વાત એ છે કે, અરજદારની જગ્યાએ બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પોસ્ટરમાં 'બેઈમાન, લાંચિયા અને તાનાશાહ' ગણાવ્યા છે. આ પહેલા મંગળવારે (21 માર્ચ) સમગ્ર દિલ્હી શહેરમાં પીએમ મોદી વિરુદ્ધ 'વાંધાજનક' પોસ્ટર જોવા મળ્યા હતા. તેમની સામે દિલ્હી પોલીસે લગભગ 100થી વધું FIR નોંધી છે અને 6 લોકોની ધરપકડ પણ કરી છે.

'મોદી હટાવો-દેશ બચાવો'

વડાપ્રધાન વિરુદ્ધ લગાવવામાં આવેલા આ પોસ્ટરો પર લખ્યું હતું કે, 'મોદી હટાઓ-દેશ બચાવો'. દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાંથી એક વાન પણ જપ્ત કરી છે જેમાં આવા હજારો પોસ્ટર રાખવામાં આવ્યા હતા. આ પોસ્ટરો પર પ્રિન્ટિંગ પ્રેસનું કોઈ નામ નહોતું કે આ પોસ્ટરો કોણે છાપ્યા તે જાણી શકાય તેવી કોઈ માહિતી પણ નહોતી.

પોલીસ કાર્યવાહી પર CM કેજરીવાલે શું કહ્યું?

પોલીસ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને 'અસુરક્ષિત' અને 'ડરેલા' ગણાવ્યા હતા. જ્યારે પોલીસે દાવો કર્યો હતો કે, તેમણે આમ આદમી પાર્ટી (AAP) હેડક્વાર્ટરથી નીકળતા વાહનમાંથી 2,000થી વધુ પોસ્ટરો જપ્ત કર્યા હતા. દિલ્હીના ઘણા ભાગોમાં આવા પોસ્ટરો દિવાલો અને થાંભલાઓ પર ચોંટાડવામાં આવ્યા છે જેના પર 'મોદી હટાઓ, દેશ બચાવો' લખેલું છે.

  • Follow us on: