- સ્મૃતિ ઇરાનીએ અમેઠી બેઠક પરથી નોંધાવી ઉમેદવારી
- રોડ શો યોજીને પહોંચ્યા હતા ફોર્મ ભરવા
- મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ રહ્યા હાજર
લોકસભાની ચૂંટણીને તૈયારીઓ તેજ બની છે. ત્યારે યુપીની અમેઠી બેઠક પર હજી સુધી કોંગ્રેસ કોઇ ઉમેદવારની જાહેરાત કરી શકી નથી. તેવામાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ પોતાનો દમ દેખાડ્યો છે. સ્મૃતિ ઇરાનીએ પોતાના ઘરમાં પૂજા પાઠ કર્યા બાદ રોડ શો યોજીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમણે મધ્યપ્રદેશના સીએમની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.
અમેઠી બેઠક પર નોંધાવી ઉમેદવારી
કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઝુબિન ઈરાનીએ સોમવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં અમેઠી લોકસભા બેઠક માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સ્મૃતિ ઇરાનીને ત્રીજી વખત આ સીટ પર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 2019માં તેમણે ગાંધી પરિવારનો ગઢ ગણાતી આ બેઠક પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરાવ્યા હતા. આ વખતે પણ ગાંધી પરિવારના કોઈ સભ્ય અમેઠી બેઠક પરથી ચૂંટણી લડશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
પૂજા પાઠ અને રોડ શો યોજ્યો
મહત્વનું છે કે સ્મૃતિ ઇરાનીએ ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પોતાના ઘરે પૂજા પાઠ કર્યા હતા. ત્યારબાદ રોડ શો યોજીને તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ રોડ શો દરમિયાન જનમેદનીને સંબોધન પણ કર્યુ હતું. તેઓનો ઉત્સાહ અને અભિવાદન પણ ઝીલતા જોવા મળ્યા હતા.
કોંગ્રેસ પાસે નથી વધારે સમય
મહત્વનું છે કે અમેઠીમાં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. 26 એપ્રિલથી અહીં ઉમેદવારોના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે. પાંચમા તબક્કામાં કુલ 49 બેઠકો પર મતદાન થવાનું છે. અમેઠીમાં નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે આ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરવા માટે વધુ સમય નથી.
કોંગ્રેસ પોતાના ઉમેદવારની જાહેરાત કેમ નથી કરી રહી?
2019માં હાર છતાં રાહુલ ગાંધીએ અમેઠી સાથે ગાઢ સંબંધ જાળવી રાખ્યો છે. હાર બાદ અનેક જાહેર ભાષણોમાં તેમણે અમેઠીને પોતાનું ઘર ગણાવ્યું અને કહ્યું કે તેમને અમેઠીથી કોઈ અલગ કરી શકશે નહીં. આ સિવાય પાર્ટીના સૂત્રોનું એમ પણ કહેવું છે કે રાહુલ અમેઠીથી ફરીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ અમેઠી બેઠક પરથી કોને મેદાને ઉતારશે.









