• એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ આઇપીએસ આનંદ મિશ્રા બક્સરથી અપક્ષ ચૂંટણી લડે છે

  • હિમંતા બિસ્વાએ કહ્યું, આસામમાં તમારું ઘર છે, હું તમને આસામ લઈ જઈશ, ત્યાં રહો
  • પોતાની કરિયર દરમિયાન આનંદ મિશ્રાએ 150 કરતાં વધારે એન્કાઉન્ટર કર્યાં છે

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા બિહારમાં એનડીએના ઉમેદવારો માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન જનસભાને સંબોધતાં બક્સરના ઉમેદવાર અને પૂર્વ આઇપીએસ આનંદ મિશ્રાને તેમણે અલ્ટિમેટમ આપી દીધું અને કહ્યું કે અહીંયાં ભાજપને ડિસ્ટર્બ ન કરો. ચૂંટણી પછી તમને ફરીથી આસામ લઈ જઈશ.

સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે ભાજપને મત આપવાનો છે, અને બાકી જે આનંદ મિશ્રા અહીં આવીને ફરી રહ્યા છે, ચૂંટણી પછી ફરીથી આસામ લઈ જઈશ. જે કરવું છે ત્યાં જ કરો, બિહાર આવીને ડિસ્ટર્બ ન કરો. આસામમાં હજુ પણ તમારું ઘર છે. હું તમને આસામમાં લઈ જઈશ. ત્યાં રહો, સુખી રહો, અહીં ભાજપને ડિસ્ટર્બ કરવા માટે બક્સરમાં ફર ફર ન કરો. મદરેસા ચલાવનારાના મત નથી જોઈતા.

આનંદ મિશ્રા કોણ છે? 

આસામમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ રહેલા આઇપીએસ અધિકારી આનંદ મિશ્રાએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે અને બક્સર લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આરા જિલ્લાના રહેવાસી છે. પોતાની કરિયર દરમિયાન આનંદ મિશ્રાએ 150 કરતાં વધારે એન્કાઉન્ટર કર્યાં છે. સોશિયલ મીડિયા પર પણ તેમના ઘણા ફોલોઅર્સ છે. પહેલાં ભાજપ તરફથી તેમને ટિકિટ મળવાની અટકળો થતી હતી પણ ભાજપની ટિકિટ ન મળતાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આની પહેલાં આસામના સીએમ હિમંતા સરમાએ કહેલું કે આ વખતે પીએમ મોદીનું 400 પારનું મિશન પૂરું થયું તો જ્ઞાનવાપીથી લઈને કૃષ્ણ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ થશે. લાલુપ્રસાદ અને કોંગ્રેસ પર કટાક્ષ કરતાં તેમણે કહેલું કે રામને મંજૂર નહોતું કે એવા લોકો મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમમાં સામેલ થાય. કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન મુસ્લિમોને અનામત આપવાની વાત કરે છે.


  • Follow us on: