- બિહારમાં જોવા મળી ભારત બંધની અસર
- બંધના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા
- પોલીસે વોટરકેનન અને લાઠી ચાર્જનો કર્યો પ્રયોગ
બિહારમાં ભારત બંધની નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. બંધના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર એકઠા થયા છે. આ લોકો બેરિકેડ તોડીને આગળ વધી રહ્યા હતા, ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ સાથે તેમના પર પાણી પણ વરસાવવામાં આવ્યું હતું. પોલીસે ડાકબંગલા ચોક પર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન દેખાવકારોને બેરિકેડિંગ કરીને અટકાવવામાં આવ્યા હતા. પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો.
પ્રદર્શનકારીઓ દુકાનો બંધ કરાવા નીકળ્યા હતા
ડાકબંગલા ચોક પર દુકાનો બંધ રહી હતી. જો કેટલીક દુકાનો ખુલ્લી હતી તો પણ વિરોધ દરમિયાન દુકાનદારોએ તેમના શટર ખેંચી લીધા હતા. જો કે પટનાના ડીએમએ પહેલાથી જ સૂચના આપી હતી કે કોઈપણ પ્રકારની અરાજકતાને સહન કરવામાં આવશે નહીં. બળપ્રયોગ કરનારા, ટ્રાફિકને અડચણરૂપ, જાહેર વ્યવસ્થા અને સામાન્ય જનજીવનને અસર કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા લોકો સામે એફઆઈઆર નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
મોટી સંખ્યામાં લોકો થયા એકઠા
પટનાના રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પટના ડેપ્યુટી એસપી અશોક કુમાર સિંહનું કહેવું છે કે આ શાંતિપૂર્ણ પ્રદર્શન નથી. સામાન્ય માણસ મુસાફરી કરી શકતો નથી. અમે પ્રદર્શનકારીઓને પ્રદર્શન ન કરવા કહી રહ્યા છીએ. પણ હા કોઈ સમજી શક્યું નહીં. આ કારણે, અમારે તેમને ભગાડવા માટે હળવા બળનો ઉપયોગ કરવો પડ્યો.
શાળાઓ કરાઇ બંધ
બીજી બાજુ રાજધાની પટનાની ઘણી શાળાઓએ મંગળવારે રાત્રે જ આ વિરોધને લઈને સૂચના અપાતા શાળાઓ બંધ કરી દીધી હતી. જોકે કેટલીક શાળાઓ બુધવારે ખુલ્લી રહી હતી, પરંતુ વિરોધ પ્રદર્શન અને ભારત બંધને ધ્યાનમાં રાખીને તે ઘણી વહેલી બંધ કરવામાં આવી હતી.
બંધનું એલાન કેમ?
ઉલ્લેખનીય છે કે SC અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ દલિત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. બિહારના અરાહના મધુબનીમાં ટ્રેનો રોકી દેવામાં આવી હતી. અનેક જિલ્લાઓમાં આગચંપી પણ કરવામાં આવી હતી. આજે બિહાર પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે પણ પરીક્ષા છે. આ સંદર્ભે, ઘણી જગ્યાએથી એવા અહેવાલો આવ્યા હતા કે ઉમેદવારોને કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.










