મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે હિંસા ભડકી હતી. ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારે આટલી મોટી સંખ્યામાં ભીડ ભેગી કરવી અને ટોળાને ઉશ્કેરનાર અંગે પોલીસે મોટી માહિતી આપી છે. નાગપુર પોલીસે ખુલાસો કરતા જણાવ્યું કે એમડીએમ અધ્યક્ષ ફહીમ ખાન આ હિંસાનો માસ્ટરમાઇન્ડ છે. તેણે જ લોકોને ભડકાવ્યા અને પોલીસ સ્ટેશન પર 500 લોકોને ભેગા કર્યા.

નાગપુરમાં કોણે ભડકાવી હિંસા ? 
નાગપુરના ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બીજી એફઆઈઆરમાં આ વાતનો ખુલાસો થયો છે. એફઆઈઆર મુજબ ટોળાએ અંધારાનો લાભ લઈને મહિલા પોલીસ કર્મચારીઓની છેડતી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ગાંધી ગેટ પાસે છત્રપતિ શિવાજી મહારાજના પૂતળા સામે વિરોધ પ્રદર્શન કર્યું, ઔરંગઝેબની કબર સામે સૂત્રોચ્ચાર કર્યા અને ઔરંગઝેબનું પ્રતીકાત્મક પૂતળું બાળ્યુ હતું.

ફહીમે ભીડ ભેગી કરી
જેનો વિરોધ કરવા માટે માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના શહેર પ્રમુખ ફહીમ ખાનના નેતૃત્વમાં પોલીસ સ્ટેશન પર ભીડ એકઠી થઈ હતી. આ ટોળાએ પથ્થર, લાકડીઓ, કુહાડી અને અન્ય ખતરનાક હથિયારો સાથે વિસ્તારમાં આતંક ફેલાવવાના ઇરાદાથી ઘાતક હથિયારોને હવામાં ફંગોળ્યા હતા. લોકોમાં ભય ઉભો કર્યો હતો. ધાર્મિક દુશ્મની વધારવાના ઇરાદે સામાજિક સદ્ભાવને બગાડવાનું કામ કર્યુ હતું.

શું થયુ હતુ તે દિવસે ? 
ભાલદારપુરા ચોક વિસ્તારમાં ટોળાના સભ્યોએ હત્યાના ઇરાદાથી ઘાતક હથિયારો અને પથ્થરોથી પોલીસ પર હુમલો કર્યો. પોલીસકર્મીઓને તેમની ફરજો બજાવવાથી નિરાશ કરવા માટે પેટ્રોલ બોમ્બ તૈયાર કર્યા અને તેમના પર ફેંક્યા હતા. તેમાંથી કેટલાકે અંધારાનો લાભ લઈને RCP સ્ક્વોડની એક મહિલા કોન્સ્ટેબલના યુનિફોર્મ અને શરીરને સ્પર્શ કર્યો. તેણે અન્ય મહિલાઓનું જાતીય શોષણ અને જાતીય સતામણી પણ કરી. કેટલીક મહિલા કર્મચારીઓને જોઈને તેણે અશ્લીલ હરકતો અને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.

નજરે જોનારનું શું છે કહેવુ? 

સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે મહારાષ્ટ્રના નાગપુરના મહાલ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગણી સાથે ચાલી રહેલા VHP આંદોલન દરમિયાન એક સમુદાયના ધાર્મિક ગ્રંથોને બાળી નાખવામાં આવ્યા હોવાની અફવા વિસ્તારમાં ફેલાઈ હતી. અફવા ફેલાતા વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી.

મહલ વિસ્તારમાં ચિટનીસ પાર્ક નજીક આવેલા ઓલ્ડ હિસ્લોપ કોલેજ વિસ્તારના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું હતું કે સોમવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ, એક ટોળાએ તેમના વિસ્તાર પર હુમલો કર્યો અને તેમના ઘરો પર પથ્થરમારો શરૂ કર્યો અને શેરીઓમાં પાર્ક કરેલી ઘણી કારમાં તોડફોડ કરી.

લોકોએ જણાવ્યું કે ટોળામાં રહેલા લોકોએ ઘરો પર પથ્થરમારો કર્યો, ગાડીઓને આગ ચાંપી, ઘરોમાં પાણીના કુલર અને બારીઓ તોડી નાખી અને ભાગી ગયા. આ અંગે એક રહેવાસીએ જણાવ્યું કે બાદમાં વિસ્તારમાં રહેતા લોકોએ જાતે જ સળગતા વાહનોની આગ ઓલવી નાખી હતી. ગુસ્સે ભરાયેલા રહેવાસીઓએ ટોળા સામે તાત્કાલિક પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી.
  • Follow us on: