બિહારમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદને કારણે ઘણી નદીઓ ગાંડીતૂર બની છે. બિહારના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. ગંડક, કોસી, કમલા, બાગમતી, સિકરહાના જેવી ઘણી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આ નદીઓમાં પાણીનું સ્તર વધવાને કારણે 13 જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. લગભગ 1.5 લાખની વસ્તી પૂરથી પ્રભાવિત હોવાનું કહેવાય છે.
કયા જિલ્લા સૌથી વધારે અસરગ્રસ્ત
અસરગ્રસ્ત જિલ્લાઓની વાત કરીએ તો અરરિયા, કિશનગંજ, ગોપાલગંજ, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, શિવહર, સીતામઢી, મુઝફ્ફરપુર, પૂર્ણિયા, સિવાન, માધેપુરા, મધુબની, દરભંગા, સહરસા અને સારણ વગેરેનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ કામગીરી માટે SDRF અને NDRFની ટીમો તૈનાત છે.
24 કલાકમાં નદીના સાત પાળા તૂટ્યા
બિહારમાં કોસી, ગંડક અને બાગમતી નદીઓ તબાહી મચાવી રહી છે. અત્યાર સુધીમાં બે ગામોમાં પૂરના પાણી ઘુસી ગયા છે. ત્રણ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે. બિહાર સરકારે એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સાત પાળા તૂટ્યા છે. દરભંગાના કિરાતપુર બ્લોકના ભાભૌલ ગામ પાસે મોડી રાત્રે કોસી નદીનો ભુભૌલ ગામનો બંધ તૂટી ગયો. જેને કારણે કિરાતપુર બ્લોક અને ઘનશ્યામપુર બ્લોકમાં પૂરના કારણે તબાહી સર્જાઈ છે. બાગમતી નદીના જોરદાર પ્રવાહથી સીતામઢી અને શિવહરમાં કુલ પાંચ પાળા નષ્ટ થઈ ગયા છે. પશ્ચિમ ચંપારણમાં બગાહા ખાતે પાળા તૂટી ગયો હતો. . આ કારણોસર, બગાહાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નિશિકાંત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આગામી 48 કલાક માટે ચિંતાજનક સ્થિતિ
કહેવામાં આવી રહ્યું છે કે કોસી અને ગંડક નદીઓમાં પાણી છોડવાની ગતિ ઘટી છે. હાલમાં ઉત્તર બિહારની સ્થિતિ આગામી 48 કલાક માટે ચિંતાજનક છે. આ તરફ પટનામાં પણ ગંગા નદીએ ફરીથી ખતરાના નિશાનને પાર કરી લીધું છે. અહીં જળ સંસાધન વિભાગના અગ્ર સચિવ સંતોષ કુમાર મોલે એન્જિનિયરોને ત્રણ દિવસ સુધી સતર્ક રહેવા જણાવ્યું છે.









