• રામમંદિરના અભિષેક સમારંભ દરમિયાન દરેક બૂથ પર પાર્ટી કાર્યકર્તા દીપપ્રાગટય કાર્યક્રમ આયોજિત કરશે

  • 543 લોકસભા ક્ષેત્રોના લગભગ 2.5 કરોડ લોકોને દર્શનની સુવિધા આપવાની ભાજપની યોજના
  • બીજી જાન્યુઆરીથી રાજધાની પટનાથી 20 દિવસીય લવ-કુશ યાત્રા શરૂ થશે જે ઘણાં શહેરોમાંથી પસાર થશે

બાવીસ જાન્યુઆરી, 2024એ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આગામી લોકસભા ચૂંટણી પહેલાં થનારા આ કાર્યક્રમ માટે ભાજપ દ્વારા મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે. લોકો માટે અયોધ્યાની મફત યાત્રાનો પ્લાન બનાવાઈ રહ્યો છે. સાથે જ દરેક ઘરે અક્ષત (આખા ચોખા) વહેંચીને લોકોને આમંત્રિત કરવાનો પણ ઇરાદો છે. બિહાર બાબતે ભાજપે અયોધ્યા માટે 20 દિવસની લવ-કુશ યાત્રાનું આયોજન કર્યું છે. રાજકીય જાણકારોનું માનવું છે કે રાજ્યમાં મજબૂત જાતિગત સમીકરણોથી છુટકારો મેળવવા આ પગલું ભરાયું છે. આ યાત્રા બીજી જાન્યુઆરીએ રાજધાની પટનાથી શરૂ થશે અને ઘણાં શહેરોમાંથી પસાર થશે. તે દરમિયાન હવન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ થશે. ભગવાન રામ અને માતા સીતાના બંને બાળકો લવ અને કુશના નામે આ યાત્રાને નામ અપાયું છે. બિહાર માટે તેનો રાજકીય અર્થ પણ છે, જ્યાં આ શબ્દ કોઈરી (કુશવાહા) અને કુર્મી જાતિઓ વચ્ચે ગઠબંધન માટે ઉપયોગમાં લેવાતો રહ્યો છે. તદ્ ઉપરાંત, ભાજપે દેશના અલગ અલગ ભાગોમાં બુકલેટ વહેંચવાનો પણ પ્લાન કર્યો છે, જેના દ્વારા એવું કહેવાશે તે રામમંદિર નિર્માણ માટે પાર્ટી દ્વારા કયાં કયાં પગલાં ભરવામાં આવ્યાં. સાથે જ તે મુદ્દે બૂથ લેવલ પર કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. બાવીશ જાન્યુઆરીએ રામમંદિરના અભિષેક સમારંભ દરમિયાન દરેક બૂથ પર પાર્ટી કાર્યકર્તા દીપપ્રાગટય કાર્યક્રમ આયોજિત કરશે.

RSS અને VHPની મહત્ત્વની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની ભૂમિકા પણ મહત્ત્વની રહેવાની છે. ભાજપ પહેલાંથી જ તેમને રામમંદિર સંબંધિત આયોજિત બધા કાર્યક્રમોને સમર્થન આપવાનું વચન આપી ચૂક્યો છે. RSS અને VHP તરફથી 22 જાન્યુઆરીના કાર્યક્રમના નિમંત્રણ અંગે કળશયાત્રા નીકળવાની છે. લોકોનાં ઘરે અક્ષત પહોંચાડવામાં આવી રહ્યા છે. ભાજપે તાજેતરમાં જ થયેલી વિધાનસભા ચૂંટણી માટેના પોતાના ચૂંટણીઢંઢેરામાં જાહેરાત કરી હતી કે જો તે સત્તામાં આવશે તો અયોધ્યાની મફત યાત્રા કરાવવામાં આવશે.

સાત હજાર મહેમાનોને આમંત્રિત કરાયા

ભાજપે 23 જાન્યુઆરી માટે આગામી ત્રણ મહિનામાં 543 લોકસભા ક્ષેત્રોના લગભગ 2.5 કરોડ લોકોને દર્શનની સુવિધા આપવાની યોજના ઘડી છે. ઘણાં મોટાં નામો સાથે અંદાજે સાત હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં બાબા રામદેવ, અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, વગેરે સામેલ છે. રામલલાના પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS પ્રમુખ મોહન ભાગવત સહિત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેલ થશે. અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન પહેલાંથી જ ભાજપની વિચારધારાનો મુદ્દો રહ્યું છે.


  • Follow us on: