• ગેરકાયદે બાંધકામો, સહિતનાં કારણોથી મકાનોમાં તિરાડો પડી

  • સરકારી ચોપડે નૈનિતાલમાં માત્ર 148 હોટલ પણ વાસ્તવિક આંકડો 600-700 આસપાસ
  • લોકોને નજીવું વળતર આપીને તેમનું નજીકના દુર્ગાપુર ગામમાં પુનર્વસન કરાયું

ઉત્તરાખંડમાં જોશીમઠ બાદ નૈનિતાલ પર પણ સંકટ તોળાઇ રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ગેરકાયદે બાંધકામો, આડેધડ વૃક્ષછેદન સહિતના કારણોસર નૈનિતાલના કેટલાક ભાગોના મકાનોમાં તિરાડો પડી રહી છે. નૈનિતાલના મોલ રોડ નજીકના તથા અન્ય કેટલાક ભાગોના મકાનોમાં તિરાડો પડવાનું શરૂ થઇ ગયું છે. કેટલાક મુખ્ય માર્ગો પર પણ તિરાડો દેખાવા લાગી છે. નિષ્ણાતોનું કહેવું છે કે વિકાસના હેતુ સાથેના ટકાઉ અભિગમ માટે નીતિગત હસ્તક્ષેપ અને વધુ બજેટની જરૂર છે.

સ્થાનિકોના જણાવ્યાનુસાર ખાસ કરીને નૈનિતાલના શેર કા ડંડા અને બલિયા નાલા વિસ્તારોના મકાનોમાં તિરાડો જોવા મળી રહી છે. શેર કા ડંડામાં અંદાજે બે-ત્રણ હજાર અને બલિયા નાલામાં 25 મકાન આવેલા છે. અગાઉ બલિયા નાલા વિસ્તાર ભારે અસ્થિર થઇ જતા ત્યાંના મોટાભાગના મકાનો તોડી પડાયા હતા અને ત્યાંના લોકોને નજીવું વળતર આપીને તેમનું નજીકના દુર્ગાપુર ગામમાં પુનર્વસન કરાયું હતું.

નૈનિતાલ ઊંચાઇ પર હોવાના કારણે તથા રાજ્ય સરકારે તાજેતરમાં લાદેલા નિયંત્રણોના કારણે ત્યાં બાંધકામ ત્રણ ગણું મોંઘું હોવા છતાં ગેરકાયદે બાંધકામોને કારણે નૈનિતાલની વહનક્ષમતા 30 ટકા વધી ચૂકી છે. સરકારી ચોપડે નૈનિતાલમાં 148 હોટલ જ છે જ્યારે ત્યાં હોટલ, રિસોર્ટ, ગેસ્ટ હાઉસ કે હોમસ્ટેનો કુલ આંકડો 600-700 આસપાસ છે.

આડેધડ વિકાસ, અતિક્રમણોથી દબાણ સર્જાયું : નિષ્ણાતો

નિષ્ણાતોનું કહેવું છે કે આડેધડ વિકાસ અને અતિક્રમણોથી નૈનિતાલ પર ભારે દબાણ સર્જાયું છે. નૈનિતાલની ક્ષમતાથી વધુ ડેવલપમેન્ટ થઇ ચૂક્યું છે. નિષ્ણાતોએ ઉમેર્યું કે ભવિષ્યમાં કોઇ સંકટની સ્થિતિમાં પાણી બલિયા ખીણમાંથી બહાર નીકળીને હલ્દિયા જેવા તળેટી વિસ્તારો પર ફરી વળી શકે છે. નૈનિતાલના મોલ રોડ, શેરવુડ કોલેજની આસપાસનો વિસ્તાર અને સ્નો વ્યૂ વિસ્તાર પહેલેથી જ ડૂબવા લાગ્યા છે. નૈનિતાલની વસ્તી જોતાં જોશીમઠની સરખામણીમાં નૈનિતાલમાં સ્થિતિ ભયાવહ હશે.


  • Follow us on: