શુક્રવાર વહેલી સવારે દક્ષિણપૂર્વ દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક ઇમારતમાં લાગેલી ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.જેમાં ત્રણ લોકોના મોત થયા અને પાંચ મહિલાઓ ગંભીર રીતે દાઝી ગઈ. ફાયર ફાઇટરોએ એક સાહસિક બચાવ કામગીરી હાથ ધરી, કુલ આઠ લોકોને ઇમારતમાંથી બહાર કાઢ્યા અને તેમને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કર્યા છે.

પાર્ક કરેલા વાહનોમાં લાગી ભીષણ આગ

દિલ્હી ફાયર સર્વિસ (DFS) દ્વારા મળેલી માહિતી મુજબ, તુગલકાબાદની શેરી નંબર-૧ માં આવેલા 'નયા તારા એપાર્ટમેન્ટ' નજીકની એક ૫ માળની ઈમારતમાં રાત્રે ૨:૨૫ વાગ્યે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલા વાહનો હોવાનું સામે આવ્યું છે. પાર્કિંગમાં લાગેલી આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેના કારણે નીકળેલા કાળા ધુમાડાના ગોટા ગણતરીની મિનિટોમાં જ આખી ઈમારતમાં ફેલાઈ ગયા હતા. ધુમાડાને કારણે અંદર રહેલા રહીશો ફસાઈ ગયા હતા અને બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ જેવા થઈ ગયા હતા.

ફાયરબ્રિગેડે ફસાયેલા 8 લોકોને બચાવ્યા

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અનેક વાહનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, ઈમારત સાંકડી ગલીમાં આવેલી હોવાને કારણે ફાયર ફાઈટરોને બચાવ કામગીરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અથાગ પ્રયત્નો બાદ ફાયર ફાઈટરોએ ખૂબ જ સાહસપૂર્વક બિલ્ડિંગમાં ફસાયેલા ૮ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.

ગંભીર લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

બચાવવામાં આવેલા લોકોને તાત્કાલિક અસરથી સફદરજંગ હોસ્પિટલ અને એઈમ્સ (AIIMS) ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ, સફદરજંગ હોસ્પિટલમાં બે મહિલાઓને તબીબોએ મૃત જાહેર કરી હતી, જ્યારે એઈમ્સમાં સારવાર દરમિયાન એક પુરુષનું પણ અવસાન થયું હતું. હાલમાં પાંચ મહિલાઓ વિવિધ હોસ્પિટલોના બર્ન વોર્ડમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
હાલ આગ કાબૂમાં
ફાયર વિભાગે સવારે ૩:૪૫ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો અને ૪ વાગ્યા સુધીમાં સંપૂર્ણ રીતે આગ ઓલવી નાખી હતી. હાલમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવા પાછળનું સચોટ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરી વિસ્તારોમાં રહેણાંક ઈમારતોમાં ફાયર સેફ્ટીના નિયમો અને પાર્કિંગ વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

  • Follow us on: