- ઉમેશ પાલ હત્યા કેસમાં પૂર્વ સાંસદ અતીક અહેમદના નજીકના સંબંધીઓ સામે કાર્યવાહી
- પ્રયાગરાજમાં અતિક અહેમદના નજીકના બિલ્ડર ખાલિદ ઝફરના ઘર પર બુલડોઝર ફરી વળ્યુ
- ઉમેશ પાલ હત્યા કેસ બાદ શૂટર અતીક અહેમદની પત્ની શાઈસ્તાને મળવા આવ્યો હતો
ઉમેશ પાલ હત્યા કેસમાં પૂર્વ સાંસદ અતીક અહેમદના નજીકના સંબંધીઓ સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પ્રયાગરાજમાં અતિક અહેમદના નજીકના બિલ્ડર ખાલિદ ઝફરના ઘર પર બુલડોઝર ચાલી રહ્યું છે. અતીક અહેમદના ઘરની બાજુમાં રહેતા બિલ્ડર ખાલિદ ઝફરની ગેરકાયદેસર મિલકત પર પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીનું બુલડોઝર ચાલી રહ્યું છે. આ દરમિયાન ભારે સૈનીક બળ હાજર છે.
પ્રયાગરાજના ચકિયા સ્થિત આ બે માળની ઈમારતમાં ઉમેશ પાલ હત્યા કેસ બાદ શૂટર અતીક અહેમદની પત્ની શાઈસ્તાને મળવા આવ્યો હતો અને મળ્યા બાદ ભાગી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલ મર્ડર કેસ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહમાં કહ્યું હતું કે અમે માફિયાઓને જમીનદોસ્ત કરી દઈશું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિવેદનની અસર હવે દેખાઈ રહી છે.
ઉમેશ પાલ હત્યા કેસમાં બુલડોઝરની પ્રથમ કાર્યવાહી બિલ્ડર ઝફરના ઘરે થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઉમેશ પાલ અને તેના સરકારી ગનરને માર્યા બાદ શૂટર અહીં આવ્યો હતો, જ્યાં તેની મુલાકાત અતિક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન સાથે થઈ હતી. ત્યારબાદ તમામ શૂટરો અહીંથી ફરાર થઈ ગયા હતા, જેમને પકડવા માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.
શૂટરના ઠેકાણાઓ પર કાર્યવાહી
ચકિયાની સાંકડી ગલી સુધી બુલડોઝર પહોંચી ગયું છે અને ખાલિદ ઝફરના ઘરમાંથી કિંમતી સામાન બહાર કાઢી બુલડોઝર ચલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાલિદ ઝફરે ઉમેશ પાલ હત્યા કેસના શૂટરને થોડા સમય માટે આશ્રય આપ્યો હતો. જેના કારણે તે પોલીસના નિશાના પર આવ્યો હતો અને આજે તેનું ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત થઈ રહ્યું છે.