- મનમોહનસિંહ વડાપ્રધાન હતા એ સમયમાં સંપત્તિ વકફ બોર્ડને અપાઈ
- હાઈકોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા બાદ કોર્ટે અરજી ફગાવી દેતા હવે નોટિસ
- કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે બોર્ડ અધ્યક્ષને નોટિસ ફટકારી દીધી
યુપીએ સરકારના શાસનકાળમાં દિલ્હીમાં સ્થિત જામા મસ્જિદને કેન્દ્રએ વકફ બોર્ડને સોંપી દીધી હતી. શહેરી વિકાસ મંત્રાલયે હવે એને પાછી લેવા નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે દિલ્હી વકફ બોર્ડની 123 સંપત્તિઓ પાછી લઈ લેવા માટે નોટિસ ફટકારી છે. જેમાં દિલ્હીની જામા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. પૂર્વ વડપ્રધાન મનમોહનસિંહની સરકાર દરમિયાન જામા મસ્જિદ વકફ બોર્ડને સોંપી દેવામાં આવી હતી. હવે દિલ્હીની મહત્વની 123 સંપત્તિઓ પાછી લઈ લેશે.
સેન્ટ્રલ દિલ્હીમાં આવેલી છે જામા મસ્જિદ
જે મસ્જિદને પાછી લેવાની છે એ લાલ કિલ્લા પાસે રહેલી જામા મસ્જિદ નથી. જે જામા મસ્જિદની અહીં અહીં વાત કરવામાં આવી છે એ સેન્ટ્રલ દિલ્હી વિસ્તારમાં આવેલી છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે ગેરકાયદે રહેલી વકફ બોર્ડની સંપત્તિઓ પર બે સંસદીય સમિતિના રીપોર્ટ રજૂ કર્યા હતા. જેના આધાર પર દિલ્હી વકફ બોર્ડની 123 સંપત્તિઓને હવે સરકાર જપ્ત કરી લેશે. આ સંપત્તિમાં મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનનો સમાવેશ થાય છે. મંત્રાલયે દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને એક પત્ર લખીને આ અંગેની વિશેષ જાણકારી આપી છે.
દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી અરજી
જે સંપત્તિઓને જપ્ત કરવા નોટિસ ફટકારી છે. એ સંપત્તિ અગાઉ ક્યારેક સરકાર પાસે રહી હતી. આ જપ્તીની સાથે જરૂરી દસ્તાવેજ મોકલવા માટે પણ કેન્દ્ર સરકારે જણાવ્યું છે. જેથી કરીને બોર્ડ એવી સ્પષ્ટતા કરી શકે કે, આ સંપત્તિઓ એમને શા માટે આપવી જોઈએ. વકફ બોર્ડે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, આ તમામ સંપત્તિઓને તોડફોડ કરવા અને રીનોવેટ કરવાનું કામ કોઈ બીજું ન કરે. પણ ગત મે મહિનામાં કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટમાંથી કોઈ રીતે રાહત ન મળ્યા બાદ કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે વકફ બોર્ડને નોટિસ ફટકારી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો આપને એવું લાગે છે કે, આ સંપત્તિઓ તમને મળવી જોઈએ તો યોગ્ય દસ્તાવેજ અને કારણ રજૂ કરો.









