• આગામી સુનાવણી 9 નવેમ્બરના રોજ કરવા કોર્ટનો આદેશ

  • 330 કરોડના ફાઈબરનેટ પ્રોજેક્ટમાં હેરાફેરી થયાના આરોપો
  • ધરપકડ થશે તો બીજા કેસ ખોલવામાં આવશે: નાયડુના વકીલ

સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને નિર્દેશ કર્યો છે કે તે ફાઈબરનેટ કૌભાંડ મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને આગામી આદેશ આપતા સુધી ધરપકડ ન કરે. જસ્ટિસ અનિરુદ્ધ બોસએ આ મામલે આગામી સુનાવણી 9 નવેમ્બરના રોજ કરવાનો આદેશ કર્યો છે.

કોર્ટે 13 ઓકટોબરના રોજ આંધ્ર પ્રદેશ સરકારને નોટિસ પાઠવી હતી. સુનાવણી દરમિયાન નાયડુ તરફથી હાજર રહેલા વકીલ સિદ્ધાર્થ લૂથરાએ કહ્યું હતું કે એ વાતની આશંકા છે કે પૂર્વ સીએમની ધરપકડ કરવામાં આવી શકે છે. ત્યારે, કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને સૂચન કર્યું હતું કે તે સુનાવણીની આગામી તારીખ સુધી એટલે કે 17 ઓકટોબર સુધી નાયડુની ધરપકડ ન કરે. લૂથરાએ કહ્યું હતું કે નાયડુ વિરુદ્ધ એક-એક મામલે કેસ ખોલવામાં આવી રહ્યા છે. કૌશલ્ય વિકાસ કૌભાંડ મામલે નયડુની ધરપકડ બાદ હવે આ કેસને ખોલવામાં આવ્યો છે.

લૂથરાએ કહ્યું હતું કે નાયડુની ગમે તે સમયે ધરપકડ કરવામાં આવી શકે છે. આ મામલે જેવી તેમની ધરપકડ કરવામાં આવશે તુરંત અન્ય કેસ ખોલવામાં આવશે. લૂથરાએ કહ્યું કે આ મામલે 19 સપ્ટેમ્બરે નાયડુને ત્યારે આરોપી બનાવવામાં આવ્યા હતા જ્યારે તેમની કૌશલ્ય વિકાસ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી.

ફાઇબરનેટ કેસમાં આંધ્ર પ્રદેશમાં 330 કરોડના ફાઇબરનેટ પ્રોજેક્ટ હેઠળ ફેઝ-1માં ચોક્કસ કંપનીને વર્ક ઓર્ડર ફાળવવા માટે કથિત ટેન્ડરની હેરાફેરી કરવામાં આવી હતી.

શું છે કૌશલ્ય વિકાસ કૌભાંડનો મામલો?

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા ચંદ્રબાબુ નાયડુની રૂ. 371 કરોડના કૌશલ્ય વિકાસ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ 9 સપ્ટેમ્બરે સવારે લગભગ 6 વાગ્યે જ્ઞાનપુરમ બસમાંથી તેમની ધરપકડ કરી હતી. CIDનો દાવો છે કે નાયડુના નેતૃત્વમાં શેલ કંપનીઓ દ્વારા સરકારી નાણાં ખાનગી સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.


  • Follow us on: