• ચારધામ યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
  • વીઆઇપી દર્શનને લઇને સીએમ ધામીએ આપ્યો નિર્દેશ
  • પુષ્કરસિંહ ધામીએ શ્રદ્ધાળુઓને કર્યો અનુરોધ

ચારધામ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓને કોઇ અગવડતા ન પડે તે માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે મહત્વની જાહેરાત કરી છે.

વીઆઇપી દર્શન બંધ

સીએમ ધામીએ કહ્યું કે ચાર ધામોમાં VIP દર્શનની વ્યવસ્થા 31 મે સુધી મોકૂફ રાખવામાં આવશે. અગાઉ આ પ્રતિબંધ માત્ર 25 મે સુધી હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓને તેમની ક્ષમતા મુજબ ભક્તોને ચાર ધામમાં મોકલવા જણાવ્યું છે. ગુરુવારે સચિવાલયમાં ચારધામ યાત્રાની વ્યવસ્થાની સમીક્ષા કરતી વખતે સીએમ ધામીએ કહ્યું કે અમારી પ્રથમ પ્રાથમિકતા ચારધામ યાત્રા પર આવનાર તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષા છે. યાત્રાના રજીસ્ટ્રેશન મુજબ આપેલી તારીખ મુજબ જ દર્શન માટે આવવા ભક્તોને અનુરોધ પણ કર્યો હતો.

કડક ચેકિંગ વ્યવસ્થા

સીએમ ધામીએ વધુમાં જણાવ્યું કે નોંધણીની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવી જોઈએ. ચેકપોસ્ટ પર ટ્રાન્સપોર્ટ, રેવન્યુ અને પોલીસ વિભાગોએ સંયુક્ત રીતે તેની દેખરેખ રાખવી જોઈએ. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે ચારધામના તમામ માર્ગો તેમજ વિકાસનગર, યમુનાપુલ, ધનોલ્ટી, સુવાખોલીના પ્રવેશ સ્થળો પર કડક ચેકિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.

  • Follow us on: