• કે.કવિતાની ધરપકડ બાદ ઇડીનો ખુલાસો
  • કેજરીવાલ-સિસોદિયા સાથે મળીને રચ્યુ ષડયંત્ર-ED
  • લીકર પોલિસી સ્કેમ અંતર્ગત મની લોન્ડ્રિંગનો આરોપ

એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરાયેલા ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાની ધરપકડ બાદ ઇડીએ મોટો ખુલાસો કર્યો છે. ઇડીનું કહેવુ છે કે કે.કવિતાએ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સાથે મળીને ષડયંત્ર રચ્યુ હતું. ઉલ્લેખનીય છે કે શનિવારે દિલ્હીની એક અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કસ્ટડીની વિનંતી અંગે કે. કવિતાને 23 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

કે.કવિતાની કેજરીવાલ સાથે સંડોવણી ?


EDની તપાસમાં બહાર આવ્યું છે કે કે કવિતાએ અન્ય લોકો સાથે મળીને AAPના ટોચના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત મળીને  દિલ્હી એક્સાઇઝ નીતિ-નિર્માણ અને અમલીકરણમાં તરફેણ મેળવવા માટે કાવતરું ઘડ્યું હતું. આ ફેવરના બદલામાં આપ પાર્ટીના નેતાને 100 કરોડ રૂપિયા આપવામાં કે.કવિતા સામેલ હતી. દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર અને ષડયંત્રના કૃત્યો દ્વારા, AAP માટે જથ્થાબંધ વેપારીઓ પાસેથી, કિકબેકના રૂપમાં ગેરકાયદેસર ભંડોળનો સતત પ્રવાહ પેદા થયો હતો તેમ EDએ જણાવ્યું હતું.

કુલ 15 લોકોની ધરપકડ

વધુમાં, કે કવિતા અને તેના સહયોગીઓએ AAPને અગાઉથી ચૂકવવામાં આવેલી ગુનાની રકમની વસૂલાત કરવાની હતી અને આ સમગ્ર કાવતરામાંથી ગુનાનો નફો/પ્રમાણ વધુ પેદા કરવાનો હતો. અત્યાર સુધીમાં, EDએ દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ અને અન્ય સ્થળો સહિત દેશભરમાં 245 સ્થળો પર સર્ચ હાથ ધર્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં AAPના મનીષ સિસોદિયા, સંજય સિંહ અને વિજય નાયર સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું ઇડીએ જણાવ્યું હતું.

15 માર્ચે કરી ધરપકડ

ઉલ્લેખનીય છે કે ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ED), હેડક્વાર્ટર ઑફિસે દિલ્હી લિકર પોલિસી કૌભાંડના કેસમાં 15.03.2024ના રોજ કે કવિતાની ધરપકડ કરી છે. વિશેષ PMLA કોર્ટે, નવી દિલ્હીએ તેણીને 23.03.2024 સુધી 7 દિવસ માટે ED કસ્ટડીમાં પૂછપરછ માટે રિમાન્ડ પર મોકલી છે. 15.03.2024 ના રોજ હૈદરાબાદમાં કે કવિતાના ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચ કાર્યવાહી દરમિયાન, ED અધિકારીઓને કે કવિતાના સંબંધીઓ અને સહયોગીઓ દ્વારા અવરોધ ઉભો કરાયો હોવાનું ઇડીએ જણાવ્યું હતું. 

  • Follow us on: