પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાનપુર મુલાકાતે છે ત્યારે સમગ્ર દેશમાં કોવિડના વધતા કેસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો. કાનપુર મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ અને ઉદ્ઘાઘાટનના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. પીએમ મોદી કાનપુરમાં વિકાસકાર્યોને વેગ આપવા મંત્રીઓ સહિત ખાસ વીઆઈપી લોકો સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. દરમિયાન પ્રધાનમંત્રીને મળનારા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
કાનપુરમાં વહીવટીતંત્રનો મહત્વનો નિર્ણય
પીએમ મોદીની કાનપુર મુલાકાત રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવે છે. આ સમય દરમિયાન વડાપ્રધાન શહેરમાં અનેક લોકો સાથે મુલાકાત કરવાના છે. સિંગાપોર, હોંગકોગ અને થાઈલેન્ડ બાદ છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં સતત કોવિડ કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં વધતા કોરાનાના કેસને લઈને વહીવટીતંત્ર દ્વારા કાનપુર મુલાકાત માટે પ્રધાનમંત્રીની સલામતી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
મુલાકાત કરનારા માટે કોરોના ટેસ્ટ ફરજીયાત
પ્રધાનમંત્રી જે લોકો સાથે મુલાકાત કરવાના છે તેને લઈને વહીવટીતંત્ર એવા લોકોની ખાસ યાદી બનાવવામાં આવી છે. આ યાદી મુજબ પીએમ મોદી અધિકારીઓ, નેતાઓ સહિત અન્ય અગ્રણીઓ સાથે મુલાકાત કરવાના છે. આ તમામ લોકોએ પીએમ મોદી સાથે મુલાકાત કરતા પહેલા ફરજીયાતપણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. અને આ ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જ તેઓ પ્રધાનમંત્રી સાથે મીટિંગ કરી શકશે. કાનપુરના મુખ્ય તબીબી અધિકારી (CMO) ડૉ. હરિદત્ત નેમીએ આ બાબતે એક પત્ર જારી કર્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીને મળતા તમામ લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
કાનપુર મુલાકાતમાં 6 સભાઓ કરશે
જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી કાનપુર મુલાકાતમાં 6 સભાઓ કરવાના છે. જાહેરસભાના કારણે અનેક લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. જેને લઈને કાનપુર આરોગ્ય વિભાગ દ્વારા સલામતીના ધોરણે પીએમ મોદી સાથે મુલાકાત કરનારા લોકોનું કોરોનાનું ટેસ્ટિંગ કરવા ખાસ ટીમ બનાવી જેમાં ત્રણ ડોક્ટરો અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. આ ટીમ મુલાકાતીઓનું કોરોના પરીક્ષણ કરશે. આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક છે અને દરેક સ્તરે દેખરેખ રાખવામાં આવી રહી છે.