બંગાળની ખાડીમાંથી ઉઠેલુ ચક્રવાતી તોફાન દાના ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. જેની અસરના ભાગરૂપે પૂરઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. વરસાદ વરસી રહ્યો છે. દીઘા બીચ સહિત ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઇ છે. માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે. મહત્વનું છે કે ચક્રવાત દાનાની અસર સૌથી વધારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે ત્યારે હાલમાં ક્યાં કેવી સ્થિતિ છે તે વિશે જાણીએ.
ફૂંકાઇ રહ્યો છે ભારે પવન
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' 18 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ઓડિશાના ભદ્રકમાં ગુરુવારે સવારથી વરસાદ શરૂ થયો હતો. તેમજ ઘણા વિસ્તારમાં તો પૂરઝડપે પવન શરૂ થઇ ગયો છે. ચક્રવાતની ગંભીરતાને પગલે ભદ્રકમાં લોકોને આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવ્યા છે.
ઓડિશાના ભદ્રકમાં ચક્રવાતી તોફાન 'દાના'ને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા રહેવાસીઓને જાગૃત કરવા માટે જાહેરાત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ચક્રવાતી તોફાન દાના 24-25 ઓક્ટોબર વચ્ચે ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.
હાલ કેટલે પહોંચ્યુ ચક્રવાત ?
ઉત્તર પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી પર ગંભીર ચક્રવાતી વાવાઝોડું "દાના" છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે 24 ઑક્ટોબર સવારે 08. 30 વાગ્યે IST બંગાળની ખાડીની ઉત્તરપશ્ચિમ પર, અક્ષાંશ 18.9°N અને રેખાંશ 88.0°E નજીક, પારાદીપ (ઓડિશા) થી લગભગ 210 કિમી દક્ષિણ-પૂર્વમાં, ધામરા (ઓડિશા) ના 240 કિમી દક્ષિણ-પૂર્વ અને સાગર ટાપુ (પશ્ચિમ બંગાળ)થી 310 કિમી દક્ષિણે કેન્દ્રિત છે.
ક્યારે ત્રાટકશે ?
ચક્રવાત હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે 24 ઓક્ટોબરની મધ્યરાત્રિએ અને 25 ઓક્ટોબર, 2024ની સવાર સુધી 110-120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઇને ઓડિશાના પુરી અને સાગર ટાપુઓ પર ત્રાટકે તેવી શક્યતા છે. જે પુરી અને સાગર દ્વીપ વચ્ચે ભીતરકનિકા અને ધામરાની પાસે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટને પાર કરે તેવી તીવ્ર સંભાવના છે.









