કેન્દ્ર સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. 7મા નાણાપંચ હેઠળ મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં વધારો થશે. પણ શું તમે જાણો છો કે હવે તમારા એકાઉન્ટમાં કેટલો પગાર આવશે?


66.55 લાખ પેન્શનરોને થશે લાભ

નવું DA 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવ્યું છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓને પણ તેનું બાકી રહેલું ભથ્થું મળશે. લગભગ 48.66 લાખ કર્મચારીઓ અને 66.55 લાખ પેન્શનરોને આનો લાભ મળશે. સરકારે વર્તમાન DA 53 ટકાથી વધારીને 55 ટકા કર્યો છે. આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓને હવે તેમના મૂળ પગારના 55 ટકા મોંઘવારી ભથ્થા તરીકે મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી સરકારી ખર્ચમાં પણ વધારો થશે. નવા DA અને DRથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 6,614.04 કરોડનો વધારાનો બોજ પડશે.

કેટલો પગાર વધશે?

ડીએ મૂળ પગાર પર આપવામાં આવે છે, તેથી દરેક કર્મચારી માટે પગાર વધારો અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે સમજીએ તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા હોય, તો પહેલા તેને 53 ટકા DA એટલે કે 10,600 રૂપિયા મળતા હતા. હવે ડીએ વધીને 55 ટકા થઈ ગયું છે, જેનો અર્થ છે કે હવે તેને 11,000 રૂપિયા મળશે. આનો અર્થ એ થયો કે દર મહિને 400 રૂપિયાનો વધારો થશે. તેવી જ રીતે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 50,000 રૂપિયા હોય તો તેને 26,500 રૂપિયા ડીએ મળતો હતો, જે હવે વધીને 27,500 રૂપિયા થશે. એટલે કે પગારમાં 1,000 રૂપિયાનો વધારો થશે.

દર વર્ષે DA કેટલી વાર વધે છે?

તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે. એકવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં. જુલાઈની શરૂઆતમાં 3 ટકાનો વધારો થયો હતો, જેના કારણે તે 50 ટકાથી વધીને 53 ટકા થયો હતો.

  • Follow us on: