દિલ્હી અને એનસીઆરમાં વધી રહેલાં પ્રદૂષણને ધ્યાનમાં રાખતાં વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. દિલ્હી સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે હવે સરકારી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે તથા 50 ટકા કર્મચારીઓ ઓફિસ આવશે. પાટનગરમાં જેમ જેમ પ્રદૂષણ વધી રહ્યું છે તેમતેમ આપ સરકાર તરફથી વિવિધ ચિજો પર પ્રતિબંધો લાગું થઇ રહ્યા છે.
ગ્રેપ-4 પહેલેથી જ લાગું થઇ ગયું છે. શાળા-કોલેજો બંધ છે. હવે કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને ઘરેથી કામ કરવાની મંજુરી આપવામાં આવી છે.દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક્સ પર જાણકારી આપી હતી કે પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. 50 ટકા કર્મચારી ઘરેથી કામ કરી શકે તેના અમલીકરણ માટે બુધવારે બપોરે ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મળી હતી. બીજી તરફ ગુરુગ્રામમાં પણ વધતા જતાં એક્યુઆઈને ધ્યાનમાં રાખીને મંગળવારે જ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વર્ક ફ્રોમ હોમ માટેની એડવાઈઝરી જાહેર કરી દેવામાં આવી હતી.










