દિલ્હી એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે. અહીં મુસાફરોની અવર જવર સતત ચાલતી રહે છે. ત્યારે જો તમારી પણ ફ્લાઇટ દિલ્હીથી હોય તો તમારે આ સમાચાર જાણવા જરૂરી છે. કારણ કે દિલ્હીમાં અત્યારે વાતાવરણ ખરાબ છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. પરિણામે દિલ્હી એરપોર્ટ દ્વારા મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.


દિલ્હી એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી 

રવિવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે વરસાદ અને વાવાઝોડાને ધ્યાનમાં રાખીને દિલ્હી એરપોર્ટે રવિવારે સવારે 06:50 વાગ્યે મુસાફરો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. X પરની એક પોસ્ટમાં, દિલ્હી એરપોર્ટે જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાનને કારણે કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિતપણે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસે અને અપડેટ્સ માટે એરલાઇન સ્ટાફના સંપર્કમાં રહે. અમારી ઓન-ગ્રાઉન્ડ ટીમો મુસાફરોને સરળ અને કાર્યક્ષમ અનુભવ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે.

વરસાદથી કયો વિસ્તાર પ્રભાવિત ?

અસરગ્રસ્ત વિસ્તારોમાં મોતી બાગ, મિન્ટો રોડ અને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 1 નજીકનો સમાવેશ થાય છે. દિલ્હીના મિન્ટો રોડ પરથી મળેલી તસવીરોમાં ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબેલી એક કાર દેખાઈ રહી છે.

ગઈકાલે રાત્રે NCRમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા બાદ અકબર રોડ પર સ્થળાંતર કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

ભારે વરસાદ પછી દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ધૌલા કુઆં ખાતે ટ્રાફિક જામ અને વાહનોની ધીમી ગતિ જોવા મળી.


રેડ એલર્ટ જાહેર 

મહત્વનું છે કે શનિવારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી અને આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટ આપ્યુ હતું. જેમાં આગામી બે થી ત્રણ કલાકમાં ભારે વાવાઝોડા, વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ચેતવણી વર્તમાન હવામાન પરિસ્થિતિઓના આધારે હાલમાં જાહેર કરાયેલી ચેતવણીનો એક ભાગ છે. IMD અનુસાર, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમ/ઉત્તરપશ્ચિમ દિશામાંથી વાવાઝોડા ફૂંકાઈ રહ્યા છે. તેના પ્રભાવ હેઠળ આગામી એક થી બે કલાક દરમિયાન શહેરના ઘણા ભાગોને વારંવાર વીજળી અને ભારે પવન અંદાજે 40-60 કિમી પ્રતિ કલાક કે તેથી વધુની ઝડપે સાથે જોરદાર વાવાઝોડું અથવા ધૂળની તોફાનની પ્રવૃત્તિ અસર કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગે રહેવાસીઓને સાવચેતી રાખવા વિનંતી કરી છે.

IMDએ આપી ચેતવણી


  • IMD એ લોકોને ખુલ્લી જગ્યાઓ પર જવાનું ટાળવા અને ઝાડ નીચે આશરો ન લેવાની ચેતવણી આપી છે.
  • નાગરિકોને નબળી દિવાલો અથવા અસ્થિર માળખાંથી દૂર રહેવા અને જળાશયોથી દૂર રહેવા પણ વિનંતી કરી છે.
  • વાવાઝોડાની સંભવિત અસરોમાં વૃક્ષો ઉખેડી નાખવા અને ડાળીઓ તૂટવાનો સમાવેશ થાય છે.
  • કેળા અને પપૈયા જેવા પાકને મધ્યમ નુકસાન થઈ શકે છે.
  • ભારે પવનને કારણે સૂકા વૃક્ષોની ડાળીઓ પડી શકે છે.
  •  શહેરના કેટલાક ભાગોમાં ધૂળના તોફાન પણ આવી શકે છે.
  • અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત રહેવા માટે જરૂરી તમામ સાવચેતી રાખવા વિનંતી કરી છે. 

  • Follow us on: