દિલ્હીમાં ફરી એક વખત રાજકીય માહોલ ગરમાયો છે. જેના કારણે PWDએ 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસને સીલ કરી દીધું છે. વિભાગે તેના ગેટ પર ડબલ લોક લગાવી દીધું છે. અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ સરકારી આવાસ ખાલી કરવામાં આવ્યું હતું. સીએમ બન્યા બાદ આતિશી તેમાં શિફ્ટ થઈ ગયા હતા. વેકેશન અને ઘરના હેન્ડઓવરને લઈને વિવાદ છે, જેના પછી PWDએ કાર્યવાહી કરી છે.


PWDના બે સેક્શન ઓફિસરોને કારણ બતાવો નોટિસ જારી

આ સિવાય PWDના બે સેક્શન ઓફિસરો અને દિલ્હીના વિજિલન્સ વિભાગમાં અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ વિશેષ સચિવને યોગ્ય હેન્ડઓવર લેવા બદલ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. PWDની કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ લેફ્ટનન્ટ ગવર્નર પર આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે, લેફ્ટનન્ટ ગવર્નરના નિર્દેશ પર મુખ્યમંત્રી આતિશીનો તમામ સામાન સીએમ આવાસની બહાર લઈ જવામાં આવ્યો છે.

આક્ષેપ-પ્રતિઆક્ષેપ

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, અધિકારીઓ પ્રોટોકોલની અવગણના કરીને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને 6 ફ્લેગ સ્ટાફ રોડ પર બંગલો ફાળવી રહ્યા નથી, જ્યારે તેમના પુરોગામી અરવિંદ કેજરીવાલે તેને ખાલી કરી દીધો છે . આ દરમિયાન દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ મુખ્યમંત્રી પર ગેરકાયદેસર રીતે બંગલા પર કબજો કરવાનો આરોપ લગાવ્યો અને તેને સીલ કરવાની માંગ કરી હતી.

આતિશી સોમવારે જ સીએમ આવાસમાં શિફ્ટ થઈ ગઈ હતી

નોંધનીય છે કે, આતિશી સોમવારે ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં સ્થિત બંગલામાં પોતાના સામાન સાથે શિફ્ટ થઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલ આ બંગલામાં પોતાના પરિવાર સાથે 9 વર્ષથી વધુ સમયથી રહેતા હતા. તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ બંગલો ખાલી કરી દીધો હતો.

આતિશીને બંગલો હજુ સુધી...

બુધવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે, આતિશીને બંગલો હજુ સુધી ફાળવવામાં આવ્યો નથી અને ભાજપ પર બંગલો હડપ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, બંગલાના પરિસરમાં આવેલી મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે. દસ્તાવેજો બતાવતા સિંહે દાવો કર્યો કે કેજરીવાલે બંગલો યોગ્ય રીતે ખાલી કર્યો હતો.

ભાજપે આરોપ લગાવ્યો હતો કે, બળજબરીથી કબજો

ભાજપે આરોપ લગાવ્યો હતો કે, બંગલો પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (PWD)ને સોંપવામાં આવ્યો નથી અને તેની ચાવી હજુ પણ કેજરીવાલ પાસે છે. જો કે, સંજય સિંહે આ દાવાને નકારી કાઢ્યો હતો. આરોપોના જવાબમાં ભાજપ નેતા ગુપ્તાએ પૂછ્યું કે, શા માટે કેજરીવાલે બંગલાની ચાવી PWDને ન આપી અને તેના બદલે આતિશીને આપી. તેમણે PWDને 6 ફ્લેગસ્ટાફ રોડ બંગલાને સીલ કરવા વિનંતી કરી કારણ કે, તેમણે મુખ્યમંત્રી પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો આરોપ મૂક્યો હતો.

સોશિયલ મીડિયા X પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, આતિશીને પહેલાથી જ મથુરા રોડ પર AB-17 બંગલો ફાળવવામાં આવ્યો હતો અને અધિકારીઓ પર ફ્લેગ સ્ટાફ રોડ બંગલાના ગેરકાયદે કબજાને જાણીજોઈને સાચવવાનો આરોપ મૂક્યો હતો. કેજરીવાલ સરકારમાં મંત્રી નિયુક્ત થયા બાદ આતિશીને ગયા વર્ષે AB-17 આવાસ ફાળવવામાં આવ્યું હતું.


  • Follow us on: