• પાણીના સંકટ પર કાબૂ મેળવવા જળ-પ્રદૂષણને ખતમ કરવા વધારે ધ્યાન આપવાની જરૂર હોવાનો નિર્દેશ

  • દુનિયામાં પાણીની અછત વધશે : અભ્યાસમાં દાવો
  • છેલ્લા 75 વર્ષો દરમિયાન ભૂજળસ્તરમાં અંદાજે 55 ટકા જેટલો ખતરનાક ઘટાડો

દુનિયામાં પાણીની સમસ્યા ધીરે ધીરે વધારે ગંભીર બનતી જાય છે. છેલ્લા 75 વર્ષો દરમિયાન ભૂજળસ્તરમાં અંદાજે 55 ટકા જેટલો ખતરનાક ઘટાડો થયો છે. તેનાથી શુદ્ધ પીવાના પાણીનું સંકટ વધી જશેઃ એમાંયે સૌથી વધારે અસર ગ્લોબલ સાઉથમાં રહેતી વસ્તીને થશે, એવું સંશોધકોએ પોતાના અભ્યાસ દરમિયાન તારણ કાઢયું છે. નેધરલેન્ડ્સ સ્થિત યુટ્રેક્ટ યુનિવર્સિટીના સંશોધકોનું આ અધ્યયન નેચર ક્લાયમેટ ચેન્જમાં પ્રકાશિત થયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્વચ્છ પાણીની અછત મનુષ્ય અને ઇકો સિસ્ટમ બંને માટે ખૂબ મોટા જોખમનો સંકેત છે. તેને નજરઅંદાજ કરવો યોગ્ય નથી. અધ્યયન એ બાબત પર પ્રકાશ પાડે છે કે આપણી પાણીની માગને ઘણી ઓછી કરવાની સાથોસાથ દુનિયામાં પાણીના સંકટ પર કાબૂ મેળવવા જળ-પ્રદૂષણને ખતમ કરવા પર પણ આપણે એટલું જ વધારે ધ્યાન આપવાની જરૂર છે. ગ્લોબલ સાઉથ દેશોમાં મુખ્યત્વે આફ્રિકા, લેટિન અમેરિકા, કેરેબિયન, એશિયા (ઇઝરાયેલ, જાપાન, દક્ષિણ કોરિયાને બાદ કરતાં) અને ઓશિનિયા (ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડને બાદ કરતાં) સામેલ છે.

ભવિષ્યમાં મુશ્કેલીઓ વધશે

સંશોધકોનું અનુમાન છે કે, દુનિયાભરમાં પાણીની અછત વધશે. અભ્યાસમાં કહેવાયું છે કે, પરિવર્તનો અને પ્રભાવ બંને, વિશ્વનાં બધાં ક્ષેત્રોમાં સમાન રીતે નહીં થાય. ઉદાહરણ તરીકે, પિૃમી યુરોપ અને ઉત્તરી અમેરિકામાં પાણીની અછત વર્ષના કેટલાક મહિનાઓમાં થાય છેઃ તેનાથી વિપરીત, વિકાસશીલ દેશોમાં પાણીની અછત સામાન્ય રીતે ઘણી વધારે હોય છે અને વર્ષ દરમિયાન વધતી રહે છે.

પાણીની ગુણવત્તાને અસર થશે

સંશોધકોનો દાવો છે કે, ભવિષ્યમાં પાણીની ગુણવત્તાને અસર થશે. સામાન્ય રીતે ઝડપભેર વધતી જનસંખ્યા અને આર્થિક વિકાસ, જળવાયુ પરિવર્તન અને પાણીની બગડતી જતી ગુણવત્તાના કારણે એવું થઈ શકે છે. અધ્યયન અનુસાર, પાણીની ગુણવત્તા, સુરક્ષિત પાણીના ઉપયોગ માટે જરૂરી હોવા છતાં તેના તરફ ઓછું ધ્યાન આપવામાં આવે છે. અગાઉનાં આકલનો મુખ્યત્વે પાણીની માત્રાનાં પાસાંઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે; પણ, પાણીનો સુરક્ષિત ઉપયોગ ગુણવત્તા પર વિશેષ રૂપે નિર્ભર રહે છે.

  • Follow us on: