સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસનાં મહત્વનાં હોદ્દા પર વરિષ્ઠ ન્યાયાધીશ સંજીવ ખન્નાને નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ 11 નવેમ્બર 2024થી CJI તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ 13મી મે 2025નાં રોજ પૂરો થઈ રહ્યો છે ત્યાં સુધી તેઓ દેશની સર્વોચ્ચ અદાલતમાં મહત્વની કામગીરી બજાવતા રહેશે.


તેઓ સુપ્રીમ કોર્ટની વહીવટી કામગીરીમાં સુધારા કરે તેમજ મહત્વનાં દૂરોગામી ચુકાદા આપશે તેવી આશા છે. તેઓ દેશનાં 51માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનશે. તેમણે હાઈકોર્ટો અને સર્વોચ્ચ ન્યાયાલયમાં કોલેજિયમ દ્વારા પસંદ કરવામાં આવેલા જજિસમાં વધુ વિવિધતા લાવવા અને પેન્ડિંગ કેસોનાં નિકાલ માટે યોગ્ય પગલાં લેવા પડશે. તેમણે સંસ્થાગત ષડયંત્રોને નાબૂદ કરવા પડશે. જેમાં વ્યક્તિગત સ્વતંત્રતાની વાત આવતી હોય તેવા કેસોનો ઝડપી નિકાલ કરવો પડશે. સંજીવ ખન્નાએ દિલ્હીમાં તીસ હજારી કોર્ટમાં એડવોકેટ તરીકે તેમની કામગીરી શરૂ કરી હતી અને લાંબી મજલ કાપ્યા બાદ તેઓ દેશનાં CJI બન્યા છે.

કાકા હંસરાજ ખન્ના પ્રેરણાસ્ત્રોત

જસ્ટિસ ખન્ના માટે તેમનાં કાકા જસ્ટિસ હંસરાજ ખન્ના પ્રેરણા સ્ત્રોત હતા. જેમણે ઈન્દિરા ગાંધી દ્વારા સીજેઆઈ પદ માટે જસ્ટિસ એમ એચ બેગની નિયુક્તિ કરવામાં આવતા 1976માં સુપ્રીમ કોર્ટમાંથી રાજીનામું આપ્યું હતું. ADM જબલપુર વિરુદ્ધ શિવકાંત શુક્લનાં કેસમાં તેમનાં ચુકાદાથી ઈન્દિરા ગાંધી નારાજ હતા. આ કેસ પછીથી હેબિયસ કોર્પસ કેસ તરીકે જાણીતો થયો હતો. ખન્નાની જર્ની 1983માં એડવોકેટ તરીકે થઈ હતી. તેમણે કેટલાક મહત્વનાં ચુકાદા આપ્યા છે જેમાં CJI ઓફિસને RTI એક્ટનાં દાયરામાં લાવવાનો સમાવેશ થાય છે. તેમણે ઈલેક્ટોરલ બોન્ડની બંધારણીય યોગ્યતા, કલમ 370 અને 35છ તેમજ EVM જેવા મહત્વનાં મુદ્દા પર ચુકાદા આપ્યા હતા.


  • Follow us on: