રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)એ અલાહાબાદ હાઇકોર્ટના ગત તારીખ 22 માર્ચના ચુકાદાને પડકારનારી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું.


વાસ્તવમાં હાઇકોર્ટે યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને રદ કરી દીધો હતો. આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. એનસીપીસીઆરનું કહેવું છે કે મદરેસામાં બાળકોને આપવામાં આવતું શિક્ષણ વ્યાપક નથી અને તેથી તે શિક્ષણના અધિકાર અધિનિયમ (આરટીઇ), 2009ની જોગવાઈઓથી વિરુદ્ધ છે. આયોગે જણાવ્યું હતું કે મદરેસાઓમાં બાળકોને ઔપચારિક અને યોગ્ય ગુણવત્તા ધરાવતું શિક્ષણ આપવામાં આવતું નથી. મદરેસા શિક્ષણના અધિકારના કાયદા હેઠળ પણ નથી આવતાં તેથી ત્યાંના બાળકોને આરટીઇ એક્ટ હેઠળ મળતા લાભો મળતાં નથી. NCPCRએ વધુમાં જણાવ્યું હતું કે મદરેસામાં બાળકોને યોગ્ય શિક્ષણથી તો વંચિત રાખવામાં જ આવે છે પરંતુ વિકાસની વધુ સારી તકોથી પણ વંચિત રાખવામાં આવે છે.

બિન-મુસ્લિમોને ધાર્મિક શિક્ષણ આપી બંધારણનો ભંગ કરાય છે

આ સોગંદનામામાં જણાવાયું હતું કે આવી સંસ્થાઓમાં બિન-મુસ્લિમોને ઇસ્લામનું ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે જે બંધારણની કલમ 28(3)નું ઉલ્લંઘન છે. મદરેસામાં શિક્ષણ પ્રાપ્ત કરનારો બાળક શાળામાં ભણાવવામાં આવતાં અભ્યાસક્રમના પાયાના જ્ઞાનથી વંચિત રહી જાય છે. આયોગે જણાવ્યું હતું કે મદરેસામાં શિક્ષણ માટે બિનસંતોષજનક અને અપૂરતું શિક્ષણ મોડલ રજૂ કરવામાં આવે છે, એટલું જ નહીં તેમના કામકાજનો પ્રકાર પણ મનફાવે તેવો છે, જે સમગ્રતયા શિક્ષાના અધિકારના અધિનિયમ, 2009ની કલમ 29 હેઠળ નિર્ધારિત અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પ્રક્રિયાનો અભાવ છે.


  • Follow us on: