કેન્દ્રીય કૃષિપ્રધાન અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તૂટેલી સીટ પર બેસીને દિલ્હી સુધીનો પ્રવાસ ખેડવો પડયો. તેમણે એર ઇન્ડિયા પ્રતિ નારાજગી જાહેર કરી છે. તેમણે કહ્યું કે એર ઇન્ડિયાનું સંચાલન ભારત સરકાર પાસેથી તાતા મેનેજમેન્ટ પાસે જતાં આશા સેવાઈ રહી હતી કે સ્થિતિ સુધરશે, પરંતુ તે ભ્રમ સાબિત થયો.એરલાઇન્સ પ્રવાસીઓને છેતરી રહી છે. શિવરાજસિંહે એક્સ પર પોસ્ટ મૂક્યા પછી એર ઇન્ડિયાએ તેમની માફી માંગી હતી.
શિવરાજસિંહ ચૈહાણે એક્સ પર એક મોટી પોસ્ટ લખીને સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે,'આજે મારે ભોપાલથી દિલ્હી આવવું હતું. પૂસામાં ખેડૂત મેળાનું ઉદ્ઘાટન, કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિ મિશનની બેઠક અને ચંડીગઢમાં ખેડૂત સંગઠનના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવાની હતી. મેં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રમાંક એઆઇ436માં ટિકિટ બુક કરાવી હતી. મને બેઠક ક્રમાંક 8સીની ફાળવણી થઈ હતી. હું જઈને સીટ પર બેઠો તો સીટ તૂટેલી હતી. સીટ અંદર ઘૂસી ગઈ. બેસવું તકલીફ દાયક હતું.'










