- બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથાને મોકૂફ રાખવામાં આવી
- કલમ 144ના અમલને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા જૈને આ અંગે આદેશ આપ્યા
- પ્રયાગરાજમાં અતીક અને અશરફની હત્યા બાદ લેવાયો નિર્ણય
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં યોજાનારી બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથાને મોકૂફ રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા અને કલમ 144ના અમલને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા જૈને આ અંગે આદેશ આપ્યા હતા. પ્રયાગરાજમાં અતીક અને અશરફની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી હનુમંત કથા હતી
જિલ્લાના શિવલી તાલુકામાં આવેલા મૈથા વિસ્તારમાં 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી હનુમંત કથાનું આયોજન થવાનું હતું. બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મધ્યપ્રદેશના છતરપુરથી કથા કરવા આવી રહ્યા હતા. કાર્યક્રમની તૈયારીઓ 15 થી 20 દિવસ અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી હતી. કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી પણ પરવાનગી લેવામાં આવી હતી.
પ્રયાગરાજમાં અતીક અને અશરફની હત્યા બાદ કલમ 144 લાગુ
શનિવારે રાત્રે પ્રયાગરાજમાં અતીક અને અશરફની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. જેને જોતા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસનને ખાસ આદેશ જારી કરવામાં આવ્યો હતો. જ્યારે કલમ 144 લાગુ કરવામાં આવી હતી, ત્યારે મઠના એસડીએમએ કાર્યક્રમ સ્થગિત કરવાનો આદેશ જારી કર્યો હતો.
જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા જૈને આપી માહિતી
આ પછી આયોજકો દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. તેમણે તે જ સમયે કાર્યક્રમનું આયોજન કરવાની વાત કરી હતી. પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા જૈને રવિવારે મોડી રાત્રે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે કાનપુર દેહતમાં 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી શ્રી બાગેશ્વર ધામનો કાર્યક્રમ આયોજિત થવાનો હતો, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. કોઈપણ વીડિયો અને ભ્રામક સમાચાર પર ધ્યાન ન આપો.
જો કે હવે જોવાનું એ રહેશે કે જિલ્લાના ડીએમના આદેશ બાદ પણ આયોજકો બળજબરીથી કાર્યક્રમ કરાવે છે કે મુલતવી રાખે છે.કેમકે કાયદો તો સૌ કોઇ માટે સમાન રહેવાનો.