• પંજાબના સીએમ ભગવંત માનને જેવી જાણ થઈ કે અમૃતપાલ ગુરુદ્વારામાં છે
  • ભગવંત માને અડધી રાત્રે પોલીસ અધિકારીને ફોન કરી ખાસ આદેશ આપ્યા હતા
  • પોલીસે ગુરુદ્વારાની અંદર પગ મૂકયા વગર અમૃતપાલની ધરપકડ કરી

પંજાબ પોલીસે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની 36 દિવસ સુધી ફરાર રહ્યા બાદ રવિવારે એટલે કે 23મી એપ્રિલના રોજ ધરપકડ કરી હતી. આ સમગ્ર અભિયાન દરમિયાન ખાસ વાત એ હતી કે એક પણ ગોળી ચલાવવામાં આવી ન હતી. મળતી માહિતી પ્રમાણે પંજાબના સીએમ ભગવંત માનને જેવી જાણ થઈ કે અમૃતપાલ ગુરુદ્વારામાં છે અને પોલીસ તેની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. તેમણે અડધી રાત્રે પોલીસ અધિકારીઓને ફોન કરીને ગોળી ન ચલાવવાનું કહ્યું હતું.

અમૃતપાલની મોગા જિલ્લાના રોડે ગામના એ જ ગુરુદ્વારામાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેને એક સમયે વારિસ પંજાબ દેના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અમૃતપાલની ધરપકડ દરમિયાન પોલીસે ગુરુદ્વારાની અંદર પગ મૂક્યો ન હતો અને એક પણ ગોળી ચલાવી ન હતી. કાર્યવાહી બાદ પંજાબ પોલીસના આઈજી સુખચૈન સિંહે કહ્યું હતું કે સમગ્ર ઓપરેશન દરમિયાન અમે ગુરુદ્વારાની ગરિમાનું ધ્યાન રાખ્યું હતું.

ગુરુદ્વારામાં ના જવાનો આદેશ હતો

એક રિપોર્ટ પ્રમાણે CM ભગવંત માનના નજીકના સહયોગીને ટાંકીને લખ્યું કે તેમણે પોલીસને સ્પષ્ટપણે કહ્યું કે બરગારી અને બેહબાઈ કલાન જેવું કંઈ ન થવું જોઈએ. જે રાજ્યને વર્ષોથી પરેશાન કરતું રહ્યું. CM એ આદેશ આપ્યો કે કોઈ ગોળી ચલાવવામાં આવશે નહીં અને પોલીસ ગુરુદ્વારામાં પ્રવેશ કરશે નહીં.

સહાયકે ઉમેર્યું કે જ્યારે આખા ગામને કોર્ડન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે મુખ્યમંત્રીએ ડીજીપીને ભારે પોલીસ હાજરીને કારણે કોઈ ગભરાટ ના થાય તેની ખાતરી કરવા કહ્યું. મોટી સંખ્યામાં યુનિફોર્મ પહેરવાથી ભય કે વિરોધનું કારણ બની શકે તેમ હોવાથી સાદા કપડામાં પોલીસ તૈનાત રહેશે તેવો નિર્ણય લેવાયો હતો.

અમૃતપાલ એકલો હતો

ભગવંત માનના સહયોગીને ટાંકીને રિપોર્ટમાં આગળ લખ્યું છે કે સીએમ પાસે માહિતી હતી કે અમૃતપાલનું નેટવર્ક સંપૂર્ણપણે નાશ પામ્યું છે. તેના સાથીદારોને પહેલા જ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ એકલા પડી ગયા હતા. જે લોકોએ તેને આશરો આપ્યો હતો તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી બાદ પંજાબમાં લોકોએ અજાણ્યા લોકોને તેમની કારમાં લિફ્ટ આપવાનું બંધ કરી દીધું હતું.


આ અભિયાન 18 માર્ચે શરૂ થયું હતું

18મી મેના રોજ પંજાબ પોલીસે 'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલ સિંહ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન દરમિયાન પોલીસે તેના 9 સહયોગીઓની ધરપકડ કરી હતી. તેની સૌથી ખાસ પપ્પલપ્રીત પણ આમાં સામેલ હતી. આ તમામને NSA હેઠળ પંજાબથી 3000 કિલોમીટર દૂર આસામની દિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન અમૃતપાલ ઘણી વખત પોલીસના હાથમાં આવતા આવતા રહી ગયો હતો. અંતે 23મી એપ્રિલના રોજ તેની પણ મોગા જિલ્લાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે આસામની એ જ દિબ્રુગઢ જેલમાં કેદ છે, જ્યાં તેના સાથીદારો છે.


  • Follow us on: