પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. એમ્સમાં રાત્રે 9:51 કલાકે તેમનું અવસાન થયું. આજે સાંજે બેહોશ થયા બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં જન્મ
ડો. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા, ડો. મનમોહન સિંહે તેમના જીવનમાં શિક્ષણ, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. ડો.મનમોહન સિંહે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી.
આ પછી તેમને 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુકે)માંથી અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સની ડિગ્રી મેળવી. તેમને 1962માં ઓક્સફર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલની ડિગ્રી મેળવી. શિક્ષણ પ્રત્યેનો તેમનો જુસ્સો તેમને પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણાવવા તરફ દોરી ગયો.
ઓક્ટોબર 1991માં તેઓ પહેલીવાર સંસદના ઉપલા ગૃહના સભ્ય બન્યા
પૂર્વ વડાપ્રધાન સિંહના જીવનમાં 91 નંબરનું ઘણું મહત્વ રહ્યું છે. ઓક્ટોબર 1991માં તેઓ પહેલીવાર સંસદના ઉપલા ગૃહના સભ્ય બન્યા. આ સમય દરમિયાન, તેઓ 1991-96 સુધી પૂર્વ પીએમ નરસિમ્હા રાવની સરકારમાં નાણાં પ્રધાન હતા. તેમને 3 એપ્રિલ 2024ના રોજ 91 વર્ષની વયે રાજ્યસભામાંથી નિવૃત્તિ લીધી હતી. તેમની રાજકીય કારકિર્દીમાં, તેઓ 2004 થી 2014 ની વચ્ચે 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન હતા. નાણામંત્રી હતા ત્યારે ડો.મનમોહન સિંહે 1991માં દેશની આર્થિક અને ઔદ્યોગિક નીતિઓની જાહેરાત કરીને આર્થિક સુધારાની શરૂઆત કરી હતી.
મનમોહન સિંહને નાણામંત્રી બનાવવા પર સવાલો ઉઠાવવામાં આવ્યા
પૂર્વ નાણામંત્રી સિંહના પ્રયાસોને કારણે 1991 ભારત માટે પરિવર્તનનું વર્ષ સાબિત થયું. તેમના દ્વારા લાવવામાં આવેલી આર્થિક નીતિઓની મદદથી દેશમાં ઝડપી પરિવર્તનો શરૂ થયા અને અર્થવ્યવસ્થા મજબૂત બની. 1991માં જ્યારે પી.વી. નરસિમ્હા રાવે ડો. મનમોહન સિંહને નાણાપ્રધાન બનાવ્યા ત્યારે એવા પ્રશ્નો ઊભા થયા કે જે વ્યક્તિ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર રહી ચૂક્યા છે તેમને નાણાં પ્રધાન બનાવીને શું પ્રાપ્ત થશે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુના યુગમાં નાણામંત્રી આર્થિક નિષ્ણાત હતા. આ પછી કોંગ્રેસના ખાંટી નેતાઓ જ નાણા મંત્રાલય સંભાળતા હતા.
પૂર્વ પીએમ નરસિમ્હા રાવે નેતાઓની કરી અવગણના
ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિમ્હા રાવના સમકાલીન કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ અગાઉ નાણાં પ્રધાન રહી ચૂક્યા છે. પરંતુ, રાવે તે બધાની અવગણના કરી અને ડો.મનમોહન સિંહને નાણામંત્રી બનાવ્યા. પાર્ટીમાં આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી. પરંતુ ડો. મનમોહન સિંહને નાણામંત્રી બનાવીને નરસિમ્હા રાવે સંકેત આપ્યો હતો કે તેઓ દેશના આર્થિક પરિદ્રશ્યમાં મોટું પરિવર્તન ઈચ્છે છે, જે કોંગ્રેસની વિચારસરણીથી અલગ હોઈ શકે છે. સમય સાથે એ પણ સાબિત થયું કે નરસિમ્હા રાવ અર્થતંત્રને વેગ આપવા માટે મોટા ફેરફારો ઈચ્છતા હતા.
નવી આર્થિક નીતિનો શ્રેય કોને આપવો જોઈએ?
દેશમાં ઉદારીકરણ પછી જ્યારે અર્થવ્યવસ્થા પાટા પર દોડવા લાગી, ત્યારે વારંવાર પ્રશ્નો પૂછવામાં આવતા હતા કે નવી આર્થિક નીતિના અમલ માટે નરસિમ્હા રાવ અને ડો. સિંહમાંથી કોને ખરો શ્રેય આપવો જોઈએ. સંજય બારુ કે જેઓ ડો. મનમોહન સિંહના પ્રેસ સલાહકાર હતા, તેમને 2015માં એક મીટિંગ દરમિયાન અચાનક લોકોને પૂછ્યું કે, તમારા બધા માટે 1991નો અર્થ શું છે? મોટાભાગના લોકોએ જવાબ આપ્યો કે આ વર્ષે સરકારે નવી આર્થિક નીતિ લાગુ કરી અને ભારતીય અર્થવ્યવસ્થાને ખોલી દીધી. આ પછી બારુએ પૂછ્યું કે આ માટે કોણ જવાબદાર છે? લોકોએ કોઈ પણ સંકોચ કે શંકા વગર સીધા જ ડો.મનમોહન સિંહનું નામ લીધું.
નાણામંત્રી મનમોહન સિંહનું પ્રથમ બજેટ ભાષણ
24 જુલાઈ 1991ના રોજ જ્યારે નેહરુ જેકેટ અને આકાશી વાદળી પાઘડી પહેરીને ડો. મનમોહન સિંહ બજેટ ભાષણ આપવા ઉભા થયા ત્યારે સમગ્ર દેશની નજર તેમના પર ટકેલી હતી. તેમના ભાષણમાં, તે પરિવારનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની નીતિઓને તેઓ સંપૂર્ણપણે નકારી રહ્યા હતા. પરંતુ આ પહેલા મનમોહન સિંહે 70ના દાયકામાં ઓછામાં ઓછા 7 બજેટ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં, 1991માં પહેલું બજેટ હતું, જેને તેમને માત્ર અંતિમ સ્વરૂપ જ આપ્યું ન હતું, પરંતુ તેનો મોટો ભાગ પોતાના હાથે લખ્યો હતો. આ સિવાય તેઓ પોતે સંસદમાં રજૂઆત કરતા હતા.
નરસિમ્હા રાવ ઈચ્છતા હતા કે મનમોહન સિંહ સુધારાવાદી બજેટ બનાવે
લેખક વિનય સીતાપતિએ નરસિમ્હા રાવની જીવનચરિત્ર 'હાફ લાયન'માં લખ્યું છે કે ડો.મનમોહન સિંહ જુલાઈના મધ્યમાં તેમના બજેટનો ડ્રાફ્ટ લઈને નરસિમ્હા રાવ પાસે ગયા હતા. તે સમયે નરસિમ્હા રાવ પાસે એક વરિષ્ઠ અધિકારી અને એક રાજદ્વારી પણ બેઠા હતા. તેમને યાદ છે કે ડો. મનમોહન સિંહે જ્યારે બજેટનો સારાંશ એક પાનામાં રજૂ કર્યો ત્યારે રાવે તેને ખૂબ ધ્યાનથી વાંચ્યો હતો. આ દરમિયાન મનમોહન સિંહ ઉભા રહ્યા. ત્યારે રાવે મનમોહન સિંહ તરફ જોઈને કહ્યું કે જો મારે આ બજેટ જોઈતું હોત તો મેં તમને કેમ પસંદ કર્યા હોત? વાસ્તવમાં રાવ ઈચ્છતા હતા કે મનમોહન સિંહ આ બજેટમાં હિંમત બતાવે. એવું કહેવાય છે કે મનમોહન સિંહના બજેટનો પહેલો ડ્રાફ્ટ એટલો સુધારાવાદી ન હતો જેટલો પાછળથી જોવા મળ્યો.
ખાતરની સબસિડી ઘટાડવી, એલપીજીના ભાવમાં વધારો
ડો. મનમોહન સિંહના 18,000-શબ્દના બજેટ ભાષણની સૌથી ખાસ વાત એ હતી કે તેમને અંદાજપત્રીય ખાધને કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 8.4 ટકાથી ઘટાડીને 5.9 ટકા કરી હતી. અંદાજપત્રીય ખાધમાં લગભગ અઢી ટકાનો ઘટાડો કરવાનો એટલે કે સરકારી ખર્ચમાં ભારે ઘટાડો થાય છે. તેમના બજેટમાં તેમણે માત્ર વાઈબ્રન્ટ કેપિટલ માર્કેટનો પાયો નાખ્યો જ નહીં, પરંતુ ખાતર પર આપવામાં આવતી સબસિડીમાં પણ 40 ટકાનો ઘટાડો કર્યો. ખાંડ અને એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પ્રવચનના અંતમાં તેમને કહ્યું કે દુનિયાની કોઈ શક્તિ એ વિચારને રોકી શકતી નથી કે જેનો સમય આવી ગયો છે. વિશ્વમાં એક મોટી આર્થિક શક્તિ તરીકે ભારતનો ઉદય એ આવો જ એક વિચાર છે. આખી દુનિયાએ સાંભળવું જોઈએ કે ભારત જાગી ગયું છે.
કોંગ્રેસના સાંસદોએ બજેટ પર વ્યક્ત કર્યો હતો રોષ
મનમોહન સિંહના સુધારાવાદી બજેટને લઈને કોંગ્રેસના સાંસદોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 1 ઓગસ્ટ 1991ના રોજ કોંગ્રેસ સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નાણામંત્રી મનમોહન સિંહે પોતાના બજેટનો બચાવ કર્યો હતો. તત્કાલિન વડાપ્રધાન નરસિમ્હા રાવ આ બેઠકથી દૂર રહ્યા હતા. તેમને મનમોહન સિંહને પોતાની તાકાત પર સાંસદોના ગુસ્સાનો સામનો કરવા દીધો. ત્યારબાદ રાવે ધીરે ધીરે પાર્ટીને સમજાવ્યું કે આ પરિવર્તન સમયની જરૂરિયાત છે અને તેનાથી ભાગી શકાય નહીં. એકંદરે, વર્ષ 1991 દેશની અર્થવ્યવસ્થા અને ડો. મનમોહન સિંહ બંને માટે ખૂબ સારું સાબિત થયું. આ પછી દેશ ઝડપી આર્થિક વિકાસના પાટા પર દોડ્યો.













