• ઈડીના અધિકારીઓ રોજ પાંચ કલાક પૂછપરછ કરી રહ્યા છે

  • એપલે પણ જણાવી દીધું છે કે કોઇપણ ડેટા એક્સેસ કરવા માટે પહેલાં પાસવર્ડ જરૂરી છે
  • કેજરીવાલની પત્નીનો ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો

કહેવાતા શરાબ ગોટાળામાં ધરપકડ કરાયેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ઈડીના અધિકારીઓની સઘન પૂછપરછ હેઠળ છે. આમ આદમી પાર્ટીના વડાની ઈડીના અધિકારીઓ રોજ લગભગ પાંચ કલાક પૂછપરછ કરી રહ્યા છે. જો કે તેમ છતાં હજુ પણ ઈડીના અધિકારીઓ તેમના ફોન અને ડિજિટલ ડિવાઇસીસનો એક્સેસ હાંસલ કરી શક્યા નથી. કેજરીવાલને વારંવાર પાસવર્ડ જણાવવાનું કહેવામાં આવે છે પણ તે દરેક વખતે ઇનકાર કરી રહ્યા છે. આ દરમિયાન ઈડીના અધિકારીઓએ કેજરીવાલનો ફોન અનલોક કરવા માટે એપલનો પણ સંપર્ક કર્યો છે. જો કે અહેવાલો અનુસાર એપલે પણ જણાવી દીધું છે કે કોઇપણ ડેટા એક્સેસ કરવા માટે પહેલાં પાસવર્ડ જરૂરી છે. નોંધનીય છે કે 21 માર્ચના રોજ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી તે રાત્રે પોલીસે તેના ઘરમાંથી ચાર ફોન જપ્ત કર્યા હતાં. કેજરીવાલની પત્નીનો ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

કેજરીવાલે આઈફોન સ્વિચ-ઓફ કરી દીધો હતો

ઈડીએ 28 માર્ચે રિમાન્ડ વધારવા માટેની અરજી કરી ત્યારે કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલની પત્નીના ફોનનું એક્સેસ મળી ગયું છે અને તેનો ડેટા કાઢી લેવામાં આવ્યો છે પણ કેજરીવાલ તેમના ફોનનો પાસવર્ડ બતાવતા નથી. નોંધનીય છે કે કેજરીવાલે દરોડો પડયો ત્યારે કેજરીવાલે પોતાનો આઈફોન સ્વિચ-ઓફ કરી દીધો હતો અને હજુ સુધી ઈડીના અધિકારીઓને તેનો પાસવર્ડ બતાવ્યો નથી.

કેજરીવાલની દલીલ શું છે?

આઈફોનનો પાસવર્ડ નહી આપવા પાછળની કેજરીવાલની દલીલ એ છે કે ફોનનો એક્સેસ લેવાના કારણે ઈડીને ચૂંટણી વ્યૂહરચના અને ચૂંટણી અગાઉ થયેલાં ગઠબંધનને સંબંધિત ડેટા પ્રાપ્ત થઇ જશે. આ ફોન તેમની પાસે એક વર્ષથી છે અને શરાબ નીતિની રચના દરમિયાન તે જે ડિવાઇસનો ઉપયોગ કરતાં હતાં તે હવે તેની પાસે નથી.

  • Follow us on: