• વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા સિલક્યારા પહોંચ્યા

  • મેન્યુઅલ ખોદાણના તજજ્ઞ મજૂરો દ્વારા ધીમેધીમે ખોતરીને કાટમાળ દૂર કરવા પ્રયાસ
  • મુખ્યસચિવે ફસાયેલાં મજૂરો સાથે અને તેમના પરિવારો સાથે વાતચીત કરી સાંત્વના આપી

ઉત્તરકાશીના સિલક્યારા સુરંગમાં પાછલા 15 દિવસથી ફસાયેલાં 41 મજૂરોને હેમખેમ બહાર કાઢવા માટે એક તરફ વર્ટિકલ ડ્રિલિંગ ચાલી રહ્યું છે અને તેમાં 36 મીટર સુધી ડ્રિલિંગ થઇ ગયું છે, કુલ 86 મીટર ડ્રિલિંગ કરવાનું છે. જ્યારે બીજી તરફ વડાપ્રધાનના મુખ્યસચિવ પીકે મિશ્રા, ગૃહસચિવ અજયકુમાર ભલ્લા અને મુખ્ય સચિવ એસએસ સંધુ સિલક્યારા પહોંચી ગયાં હતાં અને સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફસાયેલાં મજૂરો સાથે અને તેમના પરિવારો સાથે વાતચીત કરી સાંત્વના આપી હતી. આ દરમિયાન ઓગર મશીનની તૂટેલી બ્લેડ કાઢી લેવામાં આવી હતી અને હવે ખાસ મેન્યુઅલ ખોદાણના તજજ્ઞ મજૂરો ઉંદરની માફક ધીમેધીમે ખોતરીને કાટમાળને દૂર કરવાનો પ્રયાસ કરશે.

બચાવ કામગીરીના પાંચ પ્લાન કેવા છે?

પ્લાન 1: સિલક્યારા તરફથી આઠ સો એમએમના પાઇપમાં ફસાયેલા ઓગર મશીનને બહાર કઢાયા બાદ મેન્યુઅલ ખોદાણ ચાલું થઇ રહ્યું છે.

પ્લાન 2 : બડકોટ છેડા તરફથી ટીએચડીસીએ ચાર બ્લાસ્ટ કરીને ટનલમાં 10.7 મીટર સુધીનો માર્ગ બનાવી લીધો છે. અહી બે મીટર પહોળા પાઇપને 483 મીટર સુધી પાથરવાનો છે.

પ્લાન 3 : એસજીવીએનએલએ સુરંગની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ કરીને એક મીટર પહોળો પાઇપ 36 મીટર સુધી ઊંડે પહોંચાડી દીધો છે. અહી કુલ 86 મીટર ડ્રિલિંગ કરવાનું છે.

પ્લાન 4: આરવીઓએનએલ પણ સુરંગની ઉપરથી એક અન્ય સ્થાન પર વર્ટિકલ ડ્રિલિંગ કરીને માર્ગ બનાવશે. તેના માટે મશીનો પહોંચી ગયાં છે અને તેને રાખવા પ્લેટફોર્મ તૈયાર થઇ રહ્યું છે.

પ્લાન 5 : બડકોટ તરફથી પણ વર્ટિકલ ડ્રિલિંગ કરવા ઓએનજીસીએ ફિલ્ડ સરવે કરી લીધો છે. બીઆરઓએ મશીનોને પહોંચાડવા 975 મીટર લાંબી સડક તૈયાર કરી દીધી છે.


  • Follow us on: