- ઇન્ટરનેટ, શાળા-કોલેજો બંધ, અર્ધલશ્કરી દળોએ મોરચો સંભાળ્યો
- હલ્દવાની પહોંચેલા મુખ્યમંત્રી ધામીએ કહ્યું- દેવભૂમિનો માહોલ બગાડનારાઓને બક્ષવામાં નહીં આવે
- વીડિયો ફૂટેજથી એક-એક તોફાનીઓની ઓળખ થશે, મિલકતોને પહોંચાડેલા નુકસાનની વસૂલાત થશે
ઉત્તરાખંડના હલ્દવાનીના બનભૂલપુરામાં ગેરકાયદે બંધાયેલી મસ્જિદ અને મદરેસા ગુરુવારે તોડી પડાયા બાદ ફાટી નીકળેલી હિંસામાં પાંચ લોકોનાં મોત થયા છે અને 100થી વધુ પોલીસકર્મીઓ ઘવાયા છે. મસ્જિદ અને મદરેસા તોડી પડાતા રોષે ભરાયેલા ટોળાંએ ઠેરઠેર તોડફોડ સાથે પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મીઓ અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો અને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા. સંખ્યાબંધ વાહનોને આગ પણ ચાંપવામાં આવી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતાં તંત્ર દ્વારા બનભૂલપુરામાં ગુરુવારે રાતથી જ કરફ્યૂ લાદી દેવાયો હતો. હલ્દવાનીમાં શુક્રવારે ઇન્ટરનેટ અને શાળા-કોલેજો, ધંધા-રોજગાર પણ બંધ રહ્યા હતા. હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ સિવાય બધું જ બંધ રાખવા આદેશ અપાયા હતા. હાલ પરિસ્થિત કાબૂમાં છે.
શુક્રવારે સાંજે હલ્દવાની પહોંચેલા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તોફાનીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ કરતા કહ્યું હતું કે કોર્ટના આદેશાનુસાર દબાણો હટાવવાનું કામ ચાલી રહ્યું હતું. તેમ છતાં કેટલાક તોફાની તત્ત્વોએ સુનિયોજિત હુમલા કરીને ઉત્તરાખંડનો માહોલ બગાડવાનું કામ કર્યું છે. મહિલા કર્મીઓ પર હુમલા થયા છે, પત્રકારોને માર મારીને તેમના કેમેરા તોડી નંખાયા છે. પોલીસ, પત્રકારોને આગમાં ધકેલવાના પણ પ્રયાસ થયા છે. વીડિયો ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.










