પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. ગુરુવારે સાંજે બેહોશ થઈ જતાં તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9.51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારે આજે પૂર્વ પીએમના અંતિમ દર્શનાર્થે રાજકીય દિગ્ગજો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
પીએમ મોદી પહોંચ્યા અંતિમ દર્શનાર્થે
પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ તેમની સાથે હતા.. તેમણે મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને વંદન કર્યા હતા. ત્યાર બાદ તેમના પરિવારજનોને પણ પીએમ મોદી સાંત્વના આપતા જોવા મળ્યા હતા.
7 દિવસનો રાષ્ટ્રીય શોક
મહત્વનું છે કે પૂર્વ પીએમના નિધન પર સરકારે 7 દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. તેમના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ આજે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેમના અવસાન બાદ મનમોહન સિંહના નશ્વર દેહને એઈમ્સથી મોડી રાત્રે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ડૉ.મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ડૉ. મનમોહન સિંહના નિધનને ધ્યાનમાં રાખીને તેમની 27 અને 28 ડિસેમ્બરની પ્રગતિ યાત્રા સ્થગિત કરી દીધી છે.
તેમની યાત્રાનો પ્રથમ ચરણ ગઈકાલે સમાપ્ત થવાનો હતો. આજે તેમની મુલાકાત મુઝફ્ફરપુર અને કાલે વૈશાલીની હતી.
કર્ણાટકમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ
મનમોહન સિંહના સન્માનમાં કર્ણાટક વિધાનસભાનો ધ્વજ અડધી કાઠીએ જોવા મળ્યો. બેંગલુરુમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર કર્ણાટક વિધાનસભાનો ધ્વજ અડધી ઝુકાવવામાં આવ્યો છે.









